અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ થયો છે અને આ વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે સુસવાટાભેર પવન ફૂંકાયો હતો. તો આજે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં 10થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજથી બે દિવસ ઠંડીનો પારો ગગડશે અને રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.
શનિવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. વાતાવરમાં પલ્ટો આવતા અમદાવાદ સહિતના શહેરોમાં પવન ફૂંકાતા લોકોએ ફરી ઠંડીનો અનુભવ કર્યો છે, આગામી દિવસોમાં ઠંડીનું જોર રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યા બાદ ફરી એકવાર સૂસવાટા મારતા પવનો સાથે ઠંડી અનુભવાઈ રહી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસમાં રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધશે. રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે, જેમાં લઘુત્તમ તાપમાનમાં 4થી 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની અંદર પહોંચશે. જેમાં ગાંધીનગર સહિતના કેટલાક શહેરોનું લઘુત્તમ તાપમાન 15ની નજીક પહોંચી શકે છે.
સૌરાષ્ટ્રમાં પહેલા કરાયેલી આગાહી પ્રમાણે, હવામાનમાં પલટો આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ તીવ્ર પવન ફૂંકાવવા સાથે છૂટાછવાયા સ્થળે ઝાપટાં રૂપે માવઠાં વરસ્યા હતા. કમોસમી વરસાદ ભારે માત્રામાં વ્યાપક રીતે નહીં વરસતા કૃષિપાકને નુક્શાનની ચિંતા ઘટી છે. સૌરાષ્ટ્રમાં કાંઠાના વિસ્તારમાં મીની વાવાઝોડા સાથે દરિયામાં 10થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. આ સાથે સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના ધ્રોલમાં અને છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં સવારે 9 મિ.મિ.નોંધાયો હતો.
માવઠાને કારણે ખેડૂતોના ખેતરમાં લહેરાઈ રહેલા ઘંઉ, બાજરી, મકાઈ સહિતના ધાન્ય પાક, જીરું, ધાણા, વરિયાળી, ઈસબગુલ , એરંડા, તુવેર જેવા રોકડિયા પાક, રાયડો, લસણ, ડુંગળી, શાકભાજી પર જોખમ સર્જાયું છે. ખરીફ સિઝનમાં નુકસાની વેઠ્યા બાદ જગતના તાતની એકમાત્ર આશાનું કિરણ રવી સિઝન છે. પરંતુ તેના પર અત્યાર સુધીમાં માવઠાની ચાર ચાર ઘાત ત્રાટકતા ઉત્પાદન પર માઠી અસર થવાની ભીતી છે. જીરું, ધાણા અને ચણાના ઉત્પાદન પર તો અતિશય માઠી અસર થવાની આશંકા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાતમાં બનસાકાંઠાના અંબાજી, ડીસા બાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડામાં વરસાદી માહોલ સર્જાયો હતો. સુરત, દ્વારકા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલમાં સવારથી જ માવઠું થયું હતુ. ખેડૂતોના દુશ્મન બનીને આવેલા માવઠાએ ચારેય તરફ વિનાશ વેર્યો છે. પ્રાથમિક દ્રષ્ટીએ સામાન્ય લોકોને કોઈ નુકસાની ન જણાય પરંતુ રવિ પાક પર વાતાવરણની પ્રતિકૂળ અસર પડી રહી છે. જેના કારણે ધાર્યું ઉત્પાદન થવાનું તો દૂર ખર્ચા નીકળવા પણ મુશ્કેલ બન્યા છે. રાજ્યમાં હજુ પણ એક દિવસ આ પ્રકારનું સંકટ રહેવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.