

મયૂર માકડિયા, અમદાવાદ : રાજ્યસભના સાંસદ અહેમદ પટેલનું કોરોના વાયરસનાં સંક્રમણ બાદ મલ્ટી ઑર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું છે. અહેમદ પટેલના દુ:ખદ નિધન બાદ રાજ્યમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ હતા અને વર્ષ 2017માં થયેલી ચૂંટણીમાં તેમનો વિજય થયો હતો. જોકે, તેમના નિધનથી આ બેઠક થાલી પડી છે અને ફરીથી રાજ્યમાં ચૂંટણી યોજાશે. જોકે, સંખ્યાબળની દૃષ્ટીએ જોઈએ તો આ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય તેવી શક્યતાઓ છે.


ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ : વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે પેટાચૂંટણી જીત્યા બાદ 111 બેઠક છે, જ્યારે કૉંગ્રેસ પાસે 65, બીપીટી પાસે 2, એનસીપી 1 અપક્ષ અને 1 ખાલી છે. આમ 181 ધારાસભ્યોના મતદાનમાં ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે. આ સંજોગોમાં ચૂંટણીના સમીકરણોમાં ભાજપનું પલડું ભારે છે.


વિધાસભાના સંખ્યાબળની દૃષ્ટીએ ભારતીય જનતા પાર્ટીનો આ ચૂંટણીમાં સ્પષ્ટ વિજય થાય તેવી શક્યતા છે. દરમિયાન આ ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. સંભવત: ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતિમાં ભાજપ પોતાના વફાદરા કાર્યકર્તાઓને રાજી રાખવા કોઈ જૂના કાર્યકર્તાને ટિકિટ આપી શકે છે અથવા તો અહેમદ પટેલની ચૂંટણી વખતે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને જ રાજ્યસભામાં મોકલી અને ખાતું સરભર કરી શકે છે.


રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે આ પેૈકીની સૌથી વધુ 7 બેઠકો હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતે છે જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસના ખાતે છે. ભાજપમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા. હવે આ સ્થિતિમાં ભાજપ વધુ એક બેઠક જીતવાનો પ્રયાસ કરશે. અહેમદ પટેલ ના નિધન બાદ હવે કોંગ્રેસ પાસે 3 બેઠક થશે


રાજ્યસભાએ ભારતનાં સંસદનું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો છે. ગુજરાતનાં 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત 6 વર્ષની હોય છે. જેમાનાં 12 નામાંકિત સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. ભારતનાં બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનાં અધ્યક્ષ છે. રાજ્યસભાનાં સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્યસભાની પ્રથમ બેઠક 13મે 1952માં મળી હતી. ફાઈલ તસવીર