ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયરૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજોમાં શિક્ષણકાર્ય ફરી શરૂ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી વિભાવરીબેને દવે એ આ નિર્ણયની વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલ-કૉલેજોમાં ઑફલાઇન શિક્ષણકાર્ય બંધ છે. જોકે, પ્રારંભિક તબક્કામાં અમુક વર્ગો જ શરૂ થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના વાલી તેમજ સ્કૂલોએ કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે. (પ્રતિકાત્મક તસવીર)
તા. 23મી નવેમ્બર સોમવારથી રાજ્યનાં ધો-9 થી 12ના વર્ગો ભારત સરકારની એસ.ઓ.પી ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવાશે. કૉલેજોમાં પણ તા. 23મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. । કૉલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાઇનલ યરના જ કલાસ શરૂ કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)
ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઇનલ યર અને આઇ.ટી.આઇ. તથા પોલિટેકનીક કૉલેજીસ પણ તા. 23મી નવેમ્બર કાર્યરત થશે. । શાળા-કૉલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકૂલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકિંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. । વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકૂલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે ઉપરાંત માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. (પ્રતિકાત્મક તસવીર)
શાળા-કૉલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરવી પડશે. । ભારત સરકારની એસ.ઓ.પી.ને અનુસરતાં રાજ્યમાં શાળા-કૉલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે. । રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ એસ.ઓ.પી સમાન રીતે લાગુ પડશે. (પ્રતિકાત્મક તસવીર)
વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે. । વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે. । શાળા-કોલેજ સંકૂલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સીપાલે ગોઠવવાનું છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્ય સરકારે ઓડ ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે. । વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠાં એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)
સામુહિક પ્રાર્થના-મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે. । વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. । જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે. (પ્રતિકાત્મક તસવીર)