સંજય ટાંક, અમદાવાદ, ગત વર્ષે તો કોરોનાના (corona pandemic) કારણે નવરાત્રી (Navratri 2021) અને ગરબાનું (Grba in Gujarat) આયોજન નહિ થતા ખેલૈયાઓ નિરાશ થયા હતા. પરંતુ હાલમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા રાજય સરકારે કેબિનેટની બેઠકમાં ડીજે, બેન્ડ વાજા સાથે ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમોમાં ગરબાના આયોજનમાં કોવિડ SOPના પાલન સાથે 400 લોકો એકત્ર થઈ શકશે તેવી છૂટછાટ અપાઈ છે. જેને લઈ ખેલૈયાઓમાં તો નવરાત્રિમાં ગરબા આયોજન ને લઈ છૂટછાટ મળશે તેવી આશા જન્મી છે. પણ નવરાત્રિમાં ગરબાના આયોજનને લઈ આયોજકો હજુએ મુંઝવણમાં છે. તો બીજીતરફ આ છૂટછાટ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપનારી ન બની જાય તેની ચિંતા તબીબો વ્યક્ત કરી રહ્યા છે.
માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. અને નવરાત્રિ એ ગુજરાતની ઓળખ છે. પરંતુ ગત વર્ષે કોરોનાના કારણે નવરાત્રિ આયોજન પર નિયમોની તરાપ વાગી હતી. મોટા પાયે ગરબાના આયોજનો બંધ રહ્યા હતા. ત્યારે આ વખતે નવરાત્રિમાં ગરબાનું આયોજન થશે કે કેમ તે મામલે હજુ પણ કન્ફ્યુઝન યથાવત છે. ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમો માં ગરબાના આયોજનમાં કોવિડ SOPના પાલન સાથે ખુલ્લામાં 400 લોકો એકત્ર થઈ શકશે તેવો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.
જોકે આ નવા નિયમો જાહેર થયા બાદ ગરબા ખેલૈયાઓમાં આ વખતે નવરાત્રિ માં છૂટછાટ મળશે તેવી આશા સાથે તૈયારીઓ આરંભી દીધી છે. દરવર્ષે ગરબામાં રમતા AJ ગ્રુપના અનુજ જણાવે છે કે સંસ્કૃતિક કાર્યક્રમમાં 400 લોકોની પરમિશન મળી છે પણ નવરાત્રિને લઈ મુંઝવણ છે. જો નવરાત્રિમાં 400 લોકોને પરમિશન મળશે તો તે માત્ર રમનાર હશે કે ગરબા જોનાર સાથે 400 લોકો હશે તે કન્ફ્યુઝન છે. ગતવર્ષે ગરબા થયા ન હતા એટલે આ વખતે ગરબા રમવાની પુરી તૈયારી છે.
તો આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશન મન જોઈન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહ જણાવે છે કે કોઈપણ તહેવાર કે ધાર્મિક કાર્યક્રમો નો વિરોધ નથી. પરંતુ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કેસ આવવાના શરૂ થઈ ગયા છે. હાલ ગુજરાતમાં કેસ પ્રમાણમાં નહિવત છે પણ નવરાત્રિમાં ગરબા માટે છૂટછાટ કોરોના કેસ વધવાનું કારણ બની શકે. હાલ સરકારે જે નિયમમાં છૂટછાટ આપી છે પણ નવરાત્રિ ના અઠવાડિયા અગાઉ પરિસ્થિતિ જોઈને સરકાર ગાઈડલાઈન બહાર પાડે તેવી માંગ છે. કારણ કે કોઈ પણ ગરબાના આયોજનમાં મ્યુઝિકલ ટીમ, સફાઈ સ્ટાફ સિક્યુરિટી અને બાઉન્સર સહિતનો 100થી 150 નો સ્ટાફ હોય છે. જેથી ભીડ વધવાની પુરી શક્યતાઓ રહેલી છે.