ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરનાં રોજ બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા લેવાઇ હતી. ઉમેદવારોએ આ પરીક્ષામાં અનેક પ્રકારની ગેરરીતિ થઇ હોવાની સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સાથે ઉમેદવારોએ સરકારને ગેરરીતિનાં પુરાવાઓ પણ આપ્યાં હતાં. તે છતાંપણ આ મામલામાં સરકારની ઉંઘ ઉડી નથી થઇ રહી. જેના કારણે યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેથી ગઇકાલે વહેલી સવારથી જ રાજ્યભરનાં હજારો ઉમેદવારો ગાંધીનગરનાં કર્મયોગી ભવનમાં રજૂવાત કરવા આવી પહોંચ્યાં હતાં. જેના કારણે સઘન પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આખો દિવસ આ યુવાન ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યુ જે બાદ આખી રાત પણ ત્યાં જ રહ્યાં. આ યુવાનોએ 18 ડિગ્રી તાપમાનમાં આખી રાત જ્યાં જગ્યા મળે ત્યાં વિતાવી હતી. કોઇકે ટોઇલેટમાં તો કોઇકે રસ્તા પર તો કોઇકે ગાર્ડનમાં બેસીને,સૂઇને આ રાત પણ વિતાવી હતી. આ યુવાનો ત્યારે એક જ સૂર હતો કે ભલે સરકાર ઉંઘે છે પરંતુ અમે તો જાગીએ જ છીએ. આંદોલનને કારણે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યા, ડીએસપી મયુર ચાવડા અને રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યાં હતાં.
સરકારને રજૂવાત કરવામાં ઉમેદવારોની સવારથી સાંજ થઇ ગઇ તો પણ કોઈ નિવેડો નહીં આવતાં ઉમેદવારોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. મહાત્મા મંદિર સામે હજારો ઉમેદવારો રોડ પર બેસી ગયા હતાં. તેમજ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે, આ પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થઈ હતી. આયોગનાં ચેરમેન અસિત વોરાને તમામ પુરાવાઓ પણ અપાયા છે આમ છતાં તેઓ તપાસનું નાટક કરે છે. આ યુવાનોએ ચિમકી પણ આપી હતી કે, 'જો આ પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો સરકાર રદ થઇ જશે.' જો સરકાર આ પરીક્ષા અંગે યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી અમે અહીં જ છીએ.
યુવાન ઉમેદવારો સરકાર સામે પોતાના હકની લડાઇ લડવા માટે કકળતી ઠંડીમાં પણ લડવા તૈયાર છે. આખા દિવસનાં વિરોધ બાદ થાકેલા ઉમેદવારો જ્યાં જગ્યા મળે ત્યાં સુવા મજબૂર થયા હતાં. કેટલાક યુવાનો ટોઇલેટમાં સુવા મજબુર થયા તો કેટલાક રસ્તા પર જ બેસી રહ્યાં. તેમની પાસે ખાવાનાં પૈસા નથી તો કેટલાયે ભુખ્યા પેટ આખી રાત્ર કાઢી છે. આ ઉમેદવારોએ નાસ્તાનાં પેકેટ ખાઇને આખો દિવસ અને રાત કાઢી છે. સરકાર ઘોર નિંદ્રામાં વિદ્યાર્થીઓ આખી રાત્ર જાગ્યા છે.
આ આંદોલનમાં યુવાનોની વ્યથાનો અવાજ રાજકોટનાં ગોંડલના યુવરાજસિંહ જાડેજા બન્યા છે. આ લોકોએ સુરેન્દ્રનગર સેન્ટરનો વીડિયો સહિતના પુરાવા સાથે રજૂઆત કરી હતી. છતાં કોઈ પગલાં ન લેવાતા યુવરાજસિંહ સહિતના યુવકોએ ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા માટે કહ્યું હતું. પોલીસે તેની સવારે જ અટકાયત કરી લીધી હતી. આ યુવાને કહ્યું છે કે, જો સરકાર જલ્દી કોઇ નિર્ણય નહીં લે તો આનાથી વધારે ઉમેદવાકો અહીં આવી જશે. આ મામલે NSUIના પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આજે સવારે 9.00 કલાકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના ઘરે હલ્લાબોલ કરશે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા ઉમેદવારોને હાજર રહેવા અપીલ કરી છે.