

આઠમી ડિસેમ્બર એટલે આજે, ભારત બંધના (Bharat bandh) એલાનને ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) સમર્થન આપ્યુ છે. ત્યારે રાજ્યમાં વહેલી સવારથી કૉંગ્રેસ વિરોધ પ્રદર્શનમાં (Protest) લાગી છે. અમદાવાદ જીલ્લા કૉંગ્રેસે સાણંદ કંડલા હાઇવે પર વહેલી સવારે જાહેર રસ્તાઓ પર ટાયર સળગાવીને ચક્કાજામ કર્યો હતો. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે વાહનોની એક કિલોમીટર લાંબી કતારો સર્જાઇ હતી. જોકે, આ વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ એમ્બ્યુલન્સને જવાનો માર્ગ કરી આપ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સાણંદ પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. (ઇનપુટ અને તસવીરો : પ્રણવ પટેલ)


કૉંગ્રેસનાં કાર્યકર્તાઓએ વહેલી સવારથી સાણંદ હાઇવે ચક્કાજામ કર્યો હતો. કેટલાક કાર્યકરોએ લોકોના જવાના માર્ગમાં જ ટાયરો બાળીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા. જોકે, હાઇવે પર પોલીસ બંદોબસ્ત હોવાને કારણે થોડીવારમાં જ ટ્રાફિક હળવો બન્યો હતો.


અમિત ચાવડાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ખેડૂતો અન્નદાતા છે. તેમના હક- અધિકાર માટે સરકાર સામે છેલ્લા શ્વાસ સુધી લડીશુ. પરંતુ કોઇપણ સામાન્ય માણસ પરેશાન ન થાય તે પણ અમારી જવાબદારી છે, તે અમારી જવાબદારી બખૂબી જાણીએ છીએ. જરૂરી સેવા ન રોકાય તેનું ધ્યાન કાર્યકર્તાઓ અને ખેડૂતો રાખી રહ્યાં છે. નોંધનીય છે કે, સાણંદ કંડલા હાઇવે પર વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ એમ્બ્યુલન્સને જવાનો માર્ગ કરી આપ્યો હતો.


મહત્વનું છે કે, સરકારી કે જાહેર પ્રોપટીને નુકસાન કરનારા તત્વો સામે સખ્ત પગલા ભરવા માટે પણ ગુજરાત પોલીસના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ભારત બંધ દરમ્યાન જો કોઈ બળજબરીથી બંધ કરાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચિમકી રાજયના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉચ્ચારી છે.


એનસીપીએ પણ બંધને ટેકો આપી કાર્યકરો ને બજારો બંધ કરાવવા સૂચના આપી છે. જિલ્લા મથકોએ એનસીપીએ ભાજપની ઠાઠડી કાઢી વિરોધ કરવા નક્કી કર્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ બંધને સમર્થન આપ્યુ છે. આમ આદમી પાર્ટીએ પણ બંધને સમર્થન આપી રાજ્યભરમાં દેખાવો કરવા આયોજન કર્યુ છે.


ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યુ છે. બંધને સફળ બનાવવા કોંગ્રેસ પ્રદેશ નેતાઓની એક બેઠક મળી હતી જેમાં ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં હાઇવે ચક્કાજામ કરવા, વિરોધ પ્રદર્શન કરવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત પોલીસ સાથે ઘર્ષણમાં ન ઉતરવા પણ કાર્યકરોને આદેશ કરાયો છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, બંધના એલાનના પગલે સરકાર ફફડી ઉઠી છે. આ બંધને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. કૃષિ કાયદાનો કોંગ્રેસ પહેલેથી વિરોધ કરી રહ્યુ છે. મુખ્યમંત્રી બંધમાં જોડાય નહી તે માટે ટીવીના માધ્યમથી લોકોને ડરાવી રહ્યાં છે. બંધમાં લોકો સ્વૈચ્છિક રીતે જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે.