પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા સહિત અન્ય છ મહાનગરપાલિકામાં વહિવટી વડા તરીકે કમિશનરને સત્તા સોપવામાં આવી છે. આગામી સમયમાં નવા ચૂંટાયેલ નવા હોદ્દેદારોની નિમણૂક થાય ત્યા સુધી મહાનગરપાલિકાની તમામ સત્તા વહિવટી વડા તરીકે કમિશનરે અપાઇ છે. જે અનુસંધાને રાજ્યના શહેરી વિકાસ દ્વારા સર્ક્યુલર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારોની મુદ્દત 13 ડિસેમ્બર 2020ના રોજ પૂર્ણ થઇ છે. ત્યારે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કરી તમામ કમિશનરોને રોજ બરોજની કામગીરી વહન કરવા સત્તા અપાઇ છે. તેમજ આ સમયગાળામાં નિતી વિષયક નિર્ણયો લઇ શકશે નહી. જ્યા સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓની પહેલી બેઠક ન મળે ત્યા સુધી તમામ વહિવટી કામ કરવાની સત્તા કમિશનર પાસે રહેશે.
એએમસી સચિવ અરૂણ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યના શહેરી વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જે અંતર્ગત 13 ડિસેમ્બર 2020 ના રોજ સત્તાધીશોની સત્તા પૂર્ણ થતા તમામ હોદ્દેદારોએ પોતાન વાહન એએમસી ખાતે જમા કરાવ્યા છે. તેમજ મેયર સહિત તમામ હોદ્દેદારોની નેમ પ્લેટ પણ દૂર કરવામાં આવી છે. જ્યા સુધી નવી સત્તા ન આવે ત્યા સુધી વહિવટી કામ કમિશનર કરશે.
મહત્વપૂર્ણ છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 12/10/2020ના જાહેરનામા મુજબ કોવિડ -19 ની પ્રવર્તમાન પરિસ્થિતિનું આકલન કરતા હાલ ઉપસ્થિતિ થયેલી કુદરતી આપત્તિ સંજોગ અપવાદરૂપ અને અસાધારણ છે. જેથી આયોગ એવા તારણ પર આવે છે કે શહેરી વિસ્તારોમાં રાજ્યની 6 મહાનગરપાલિકા મત વિસ્તારોમાં યોજાનાર ચૂંટણી હાલ કોરોના મહામારી વચ્ચે ન યોજાઇ શકાય. આથી ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.