વિભુ પટેલ, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે ચાની કિટલીઓ બંધ કરાવી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS (Ahmedabad Municipal Transport Service) બસ સેવાના બસ સ્ટોપ પર જ નિયમોનું પાલન નથી થતું. આ અંગેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે લોકો બસોમાં બેસવા માટે પડાપાડી કરી રહ્યા હતા. બસ સ્ટોપ અને બસની અંદર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું પણ પાલન કરતા ન હતા. અહેવાલ બાદ AMTS તરફથી બસ ટર્મિનલ 10 જેટલા ઇન્ચાર્જ નિમવામાં આવ્યા છે. આ લોકોની જવાબદારી રહેશે કે બસ ટર્મિનલ પર આવતા લોકોએ માસ્ક (Mask) પહેર્યું છે કે નહીં, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે છે કે નહીં તે વાતનું ધ્યાન રાખે. આ ઉપરાંત ગાઇડલાઇન કરતા વધારે લોકો બસમાં ન બેસે તેમજ લોકો બસમાં બેસવા માટે પડાપડી ન કરે.
ઉલ્લેકનીય છે કે અનલોક અંતર્ગત લોકોને છૂટછાટ મળતા તેઓ ઘરની બહાર નીકળી રહ્યા છે. પરંતુ લોકો બહાર નીકળતી વખતે બેદરકારી દાખવે છે અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા નથી. આ કારણે જ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં ફરી વધી રહ્યું છે. આથી આગામી દિવસોમાં તંત્ર તરફથી હવે નિયમભંગ કરતા લોકો વિરુદ્ધ કડક હાથે કામ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યા બાદ અમદાવાદ ખાતે તંત્ર તરફથી ચાની કિટલીએ બંધ કરાવવામાં આવી રહી છે. જે બાદમાં શુક્રવારે પાનના ગલ્લા પણ બંધ કરાવવામાં આવી રહ્યા છે. તંત્ર તરફથી ચાની કિટલી, પાનના ગલ્લા અને નાના ધંધાદારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના દુકાનની આસપાસ લોકોને એકઠા ન થવા દે. જે આવું નિયમ ભંગ થશે તો એકમ સીલ કરી દેવાની કાર્યવાહી પણ કરશે.