

મયૂર માકડિયા, અમદાવાદ : કોરોનાની પરિસ્થિતિમાં સામાન્ય બિમારીમાં પણ હોસ્પિટલ તપાસ અર્થે જવા ઘણાં લોકો સંકોચ અનુભવતા હોય ત્યારે ગર્ભાવસ્થામાં મારી પ્રસુતિને લઇને હું ખુબ જ ચિંતિત હતી.એવામાં ખાનગી હોસ્પિટલે સારવાર કરવાની ના પાડતા મારી ચિંતામાં વધારો થયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા મને શ્રેષ્ઠ સારવાર મળી રહી અને મારા ઘરે બાળકનો જન્મ થયો. આ શબ્દો છે. ધાત્રીમાતા આફરીનના. કોરોનાની કપરી પરિસ્થિતમાં જ્યારે કેટલીક ખાનગી હોસ્પિટલ પ્રસુતિ માટે નકારે છે ત્યારે સિવિલ હોસ્પિટલ આવી સગર્ભા માટે સહારો બનીને પોતાની ફરજ નિભાવી રહી છે. જેના પરિણામે આજે સિવિલ હોસ્પિટલની 1200 બેડમાંથી પ્રસુતિની પ્રસન્નતા સાથે 10 સગર્ભાઓ ધાત્રીમાતા બનીને કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફરી હતી.


અમદાવાદ સિવિલમાં આજે કોરોનાગ્રસ્ત 10 સગર્ભા સંપૂર્ણ સ્વસ્થ થઇને પોતાના ઘરે પ્રસન્ન મુખે પરત ફરી તેના પાછળનું કારણ તેઓને હોસ્પિટલમાં મળેલી શ્રેષ્ઠ સારવાર, ભોજન કાળજીપુર્વકના સ્તનપાન અંગે માૃગદશૃન, રોગપ્રતિકારક શકિત મજબૂત થાય તેના માટે આપવામાં આવતી વિશિષ્ટ દવાઓ, હોસ્પિટલનું ઘર જેવું વાતાવરણ, તબીબો-સ્ટાફનો અભિગમ, સફાઇ કર્મીઓનો સાથ સહકાર અને સાથે સાથે સુચારૂ વ્યવ્સથાપન રહેલુ છે, તેવું સૌ ધાત્રી માતાઓએ કહ્યુ હતુ


1200 બેડ હોસ્પિટલના મદદનીશ પ્રધ્યાપક ડૉ. શિતલ કાપડિયા કહે છે કે 'હોસ્પિટલના ગાયનેક વિભાગમાં છેલ્લા 45 દિવસમાં કોરનાગ્રસ્ત 35 સગર્ભાઓ ધાત્રી માતા બનીને આ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે. જેમાં આજે એકસાથે સૌથી વધુ 10 ધાત્રી માતાઓ હર્ષોલ્લાસ સાથે કોરોના સામેનો જંગ જીતી ઘરે જઇ રહી છે.


સગર્ભાને કોરોના પોઝીટીવ આવે તો ગભરાવવાની જરૂર નથી, વિવિધ સંશોધનોના તારણ કહે છે કે આ વાઇરસ સીધા ગર્ભાશય કે બ્રેસ્ટ મિલ્ક મારફતે અંદર પ્રવેશી જતા નથી. પરંતુ હા સામાન્ય દર્દીની સરખામણીમાં સગર્ભાની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને વિશેષ કાળજી રાખવાની ખરી આવશ્યકતા છે .


ધાત્રીમાતા જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેમને વિટામીનની ગોળીઓ આપવામાં આવે છે તેની સાથે સાથે પૌષ્ટિક આહાર લેવા માટેની સલાહ પણ આપવામાં આવે છે જેથી બાળક હરહંમેશ તંદુરસ્ત રહે.'


અન્ય અક કોરોનાગ્રસ્ત ધાત્રી માતા સેજલબેનના પતિ વિરેન્દ્રભાઇ પાટીલ કહે છે કે 'સિવિલ હોસ્પિટલ એ ભગવાનનું મંદિર હોય તેમ સાબિત થયું છે અહિંના તબીબોએ સતત સખત પરિશ્રમ સાથે સંવેદનશીલ અભિગમ દાખવીને મારા પત્નીની સારવાર કરી જેના કારણે સ્વસ્થ દિકરાનો જન્મ થયો છે.


.હું સહ્યદયપૂર્વક 1200 બેડ હોસ્પિટલના તબીબો, સ્ટાફ મિત્રો, સફાઇ કર્મીની સેવાભાવના સાથેની કર્તવ્યનિષ્ઠાને બિરદાવું છું..." સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ સગર્ભાની સંપૂર્ણપણે કાળજી સાથે સામાન્ય પ્રસુતિ કરાવીને તેઓને ઘરે મોકલતા માતાઓ અને નવજાત શિશુઓના મુખે ખિલખિલાટ જોવા મળી રહ્યો હતો.