

શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ ઘણી બીમારીમાંથી બચાવે છે. સૂંઠ એટલે સુકાયેલું આદુંનો પાવડર. સૂંઠ રુચિકારક, આમવાતનાશક, પાચક, હલકી, ઉષ્ણ, પચ્યા પછી મધુર, કફ અને વાયુના રોગો મટાડનાર, કબજિયાત મટાડનાર, મળસારક, વમન, શ્વાસ, શૂળ, ખાંસી, હૃદયરોગો, સોજા, અનિદ્રા, આફરો, પેટના અને વાયુના રોગોમાં હિતાવહ છે. આમ સૂંઠને આયુર્વેદમાં વિશ્વભેષજ નામ અપાયું છે.તો જોઈએ આપણે સૂંઠથી કયા કયા લાભ મેળવી શકીએ છીએ.


જો પેટમાં આફરો રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, અરુચિ જેવું રહેતું હોય, મળપ્રવૃત્તિ નિયમિત ન થતી હોય, તો સૂંઠનો ઉપયોગ હિતાવહ છે. આંતરડાની અંદરની દીવાલને ચોંટેલા કફાદિ દોષોને અને મળને સૂંઠ ઉખાડી નાંખે છે. પરિણામે આંતરડાના અંદરના પાંચનછિદ્રો ખુલ્લાં થાય છે. પાચનદ્રવ્યોના સૂક્ષ્મકણોનું શોષણ થાય છે અને સમગ્ર પાચનતંત્ર તેના કાર્યમાં ઉત્તેજીત થાય છે.


એક ચમચી સૂંઠનું ચૂર્ણ+બે ચમચી ગોળ+ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે. 15 ગ્રામ સૂંઠનું ચૂર્ણ+15 ગ્રામ મેથીનું ચૂર્ણ ત્રણથી ચાર ચમચી ગળોના રસ સાથે લેવાથી સંધિવા મટે છે.


જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણાકોઠે 15 ગ્રામ સૂંઠ+10 ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ. સૂંઠના ભૂક્કામાં ખડીસાકર તથા વરિયાળી ભેળવી સેવન કરવાથી અપચાથી છૂટકારો મળશે.