કિંજલ કારસરીયા, જામનગર : સેવ સોઈલની (Save soil) ઝુંબેશ ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવનું (sadhguru n Gujarat) 29મેના રવિવારે સમુદ્ર માર્ગે ઓમાનથી ભારતમાં જામનગરના બંદરે આગમાન થવાનું છે.કોઈમ્બતુર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા 21 માર્ચ 2022 થી સેવ સોઇલ (માટી બચાવો ) ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લંડનથી શરૂ કરેલી ઝુંબેશ 27 દેશોમાં 30 હજાર કી.મી.ની બાઇક ચલાવીને આગામી 29 મે, 2022ના રવિવારે ભારતમાં સૌ પ્રથમ તેઓ સમુદ્ર માર્ગે જામનગરમાં પ્રવેશ કરશે. તેઓ રાજવી પરિવારના મહેમાન બનશે. આ માટે જામનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જામનગરના નેક નામદાર જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ સદગુરુને જામનગર માટે નિમંત્રણ આપ્યું હતું. જેને સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને અને તેઓ ઓમાનથી રવાના થઈને ખાસ દરીયાઈ માર્ગે જામનગરના બંદર પર આવી પહોચશે. જામનગરનું બંદર કાર્ગો પોર્ટ છે. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 'પોલીસ ' (પોલેન્ડ ) ના બાળકોને આવકારવા એ પહેલો સિવિલિયન કિસ્સો હતો. જે નેકનામદાર જામસાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાના આમંત્રણથી શક્ય બન્યું હતું.
વિશ્વના ભૂ- વૈજ્ઞાનિકોએ તથા યુ. એન. એજેન્સી દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, માટીની ફળદ્રુપતા દિવસે દિવસે ઘટી રહી છે. વર્ષ 2045 સુધીમાં વિશ્વમાં અન્નનું ઉત્પાદન 40થી 50 ટકા સુધી ઘટી શકે છે. ખાદ્ય પદાર્થની અછતના કારણે વિશ્વભરમાં આંતરિક યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવું અનુમાન છે. વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્ગી વાસુદેવે સેવ સોઈલ અભિયાન હાથ ધર્યું છે.
ફરી સદગુરુને પાઠવેલ આમંત્રણથી જામનગરમાં ઇતિહાસનું ફરી પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. રાજવી પરિવાર દ્વારા ફરી એક વખત જામનગર બંદર ખાસ પરવાનગી સાથે જામસાહેબના મહેમાન બનનાર સદગુરુનું બંદર પર આગમન થશે. આ સમગ્ર કાર્યક્રમને જામસાહેબના પ્રતિનિધિત્વ એકતાબા સોઢા કરી રહ્યા છે. તેઓએ પણ સેવ સોઈલ અંતર્ગત જામનગરમાં 5000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે.
એકતાબા સોઢાએ પ્રતાપ વિલાશ પેલેશમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓમાનથી આવતું સદગુરુનું વહાણ તારીખ 29 મેના બપોરે 12:30 વાગ્યે નવા બેડી બંદરે આવી પહોંચશે. જ્યાં રાજવી પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એકતાબા સોઢા તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ જામનગરના ધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, આર્મી નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ દ્વારા તેઓ નું સ્વાગત કરવા માં આવશે.
સદગુરુના સ્વાગત કચ્છી ઢોલના નાદથી કરવામા આવશે. જ્યાં તેઓ મીડિયાને સંબોધન કરશે. નવાનગર સ્ટેટ ની ચાર રજવાડી ગાડીનો કાફલો તેની સાથે ચાલશે. ત્યારબાદ સદગુરુ જામસાહેબને મળવા તેમના નિવાસસ્થાને જશે જ્યાં અલગ-અલગ મુદ્દાઓ પર જામ સાહેબ શત્રુસ્લ્યસિંહજી સાથે ચર્ચા કરશે ત્યાંથી સદગુરુ પ્રતાપ વિલાસ પેલેસ માટે રવાના થશે.