

હરિન માત્રાવાડિયા, રાજકોટ : જેલનું નામ પડતા જ અચ્છે અચ્છાઓના હાજા ગગડી જાય, પરંતુ જેલ એ કોઇ માત્ર અને માત્ર કારાવાસ કે સજા ભોગવવાનું સ્થાન નથી પણ એક એવું કેન્દ્ર છે, જ્યાં વ્યક્તિ પોતે ભૂતકાળમાં કરેલી ભૂલને સુધારી સ્વનો સાક્ષાત્કાર કરીને નવા જીવન તરફ આગળ વધવાનું ભાથુ ભેગુ કરે છે. ભારતિય સંસ્કૃતિમાં જેલને કારાવાસ તરીકે નહી પરંતુ એક સુધારાગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં માત્ર પુરૂષો જ નહી પરંતુ મહિલાઓ સશક્ત અને સહિષ્ણુ બને છે. આપણા બંધારણમાં મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. હવે, તો સંસ્થાગત હોય કે સંરક્ષણ, મેડિકલ હોય, મેનેજમેન્ટ હોય કે મીડિયા તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ કમાન્ડિંગ પોસ્ટ સંભાળી રહી હોય તેવા અનેક ઉદાહરણો નજર સમક્ષ છે.


પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસનનાં સંચાલનમાં મહિલા કેવી રીતે પાછળ રહી શકે ? તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રાજકોટ જેલનાં સુપ્રિટેન્ડન્ટ સુશ્રીબન્નો જોષીનાં જણાવ્યાં પ્રમાણે, 'મહિલા કેદીઓ પણ અંતે તો માણસ જ છે. તેમને પણ સમાજની મુખ્ય ધારામાં ભળવાનો હક્ક છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સમાજને મારો એટલો સંદેશો છે કે, મહિલા કેદીઓને તેમનાથી થઈ ગયેલ ગુનાઓનો પસ્તાવો હોય છે. તેના ગુનાઓની સજા પણ તેમણે ભોગવી છે અને તેથી જ આપણે સૌએ તેમને સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાના હક્કને સાર્થક કરવો જ રહ્યો.'


રાજકોટ મધ્યસ્થ જેલ વાસ્તવમાં એક જેલ નહીં પરંતુ સુધારાગૃહ છે તે વિશે જોષીએ જણાવતા કહ્યું હતં કે, કોઇ ગુનાની સજા અંતર્ગત અહિં આવેલી મહિલા કેદીને તેના ગુનાનો પારાવાર પસ્તાવો થતો હોય છે. અહિં લાવવામાં આવેલ મહિલાઓને ગુનાની ગર્તામાંથી બહાર લાવવા માટે તેઓને વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત રાખવામાં આવે છે. જેના થકી ધીરે ધીરે તેઓનું મન કામકાજમાં પરોવાય છે. આવી વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રધાનમંત્રી કૌશલ્ય તાલીમ યોજના અંતર્ગત સિલાઈ કામ, કમ્પ્યુટર ક્લાસ, ભરત-ગુંથણ, મોતી કામ, માટી કામ, રમકડા એસેમ્બલીંગ, ઈમીટેશન જ્વેલરીનું બીડાણ કામ વિગેરેનો સમાવેશ કરીને તેમનામાં રહેલા કૌશલ્ય કે હુન્નરનો નિખાર કરીને મહિલા કેદીઓને પગભર કરવામાં આવે છે.


વિવિધ આર્થિક પ્રવૃતિઓ દ્વારા જે કંઈ નાણા મળે છે તેના 50% રકમ તેઓને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેલની કેન્ટીનમાંથી ખરીદી શકે તે માટે આપવામાં આવે છે. જ્યારે અન્ય 50% રકમ પોસ્ટ ઓફિસમાં કેદીનાં નામના શરૂ કરવામાં આવેલા ખાતામાં જમા થાય છે. કેદી જ્યારે સજા ભોગવીને સમાજમાં પૂન:વસવાટ કરે ત્યારે પોસ્ટ ખાતામાં જમાં થયેલા નાણા તેને સોંપી દેવામાં આવે છે. તેમજ તેમનામાં રહેલા કૌશલ્ય કે હુન્નરને આધારે સમાજ જીવનમાં સહેલાઈથી પગભર થઈ શકે તે માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતી તથા મદદ પણ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે, રાજકોટ સુધારાગૃહમાં સજા ભોગવી રહેલા મહિલા કેદીઓના કુલ 6 બાળકો છે, જેમાં 2 માસની નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અન્ય 5 બાળકો માટે જેલની અંદર જ આંગણવાડી બનાવવામાં આવી છે. જેમાં આ બાળકોને અન્ય બાળકોની જેમ જ શિક્ષિત કરવામાં આવે છે. આ બાળકોના સ્વાસ્થ્ય માટે પુરતી તકેદારી રાખવામાં આવે છે. સંકલીત બાળ વિકાસ વિભાગ-રાજકોટ દ્વારા આ બાળકોને નિયમિતપણે ગરમ અને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ બાળકોનું વેક્સિનેશન (રસીકરણ) સમયાંતરે નિયમિત રૂપથી કરવામાં આવે છે અને તેનો રેકોર્ડ પણ રાખવામાં આવે છે.


બન્નો જોષીએ જણાવ્યું હતું કે, એક મહિલા જેલ અધિક્ષક તરીકે જ્યારે મને ફરજ સોંપવામાં આવી ત્યારે મારી સમક્ષ અનેક પડકારો હતા. ખાસ કરીને કેદીઓ સમાજ અને જાહેર જીવનથી દુર એકાંતમાં રહેતા હોય છે. દરેક વ્યક્તિની જરૂરીયાતો અલગ અલગ હોય છે, જેને સમજીને પુરી પાડવી. સુધારગૃહના તમામ સભ્યો માટે ભોજનની સુવિધા આસાન કરવી, તેઓનાં આરોગ્ય બાબતની સમયસર કાળજી રાખવી. આ ઉપરાંત, જેલનાં તમામ કેદીઓનું શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તે માટે વિવિધ વિભાગનાં તાલીમબધ્ધ ડોક્ટરો અને મનોચિકિત્સક દ્વારા તેનું નિયમિતપણે ચેક અપ કરીને જરૂરી દવા-સારવાર ઉપરાંત કેદીઓને જરૂર પડ્યે કાયદાકીય સલાહ-સહાય પુરી પાડવામાં આવે છે.


સમગ્ર ગુજરાતમાં કુલ 27 જેલ છે, જેમાં 4 મધ્યસ્થ જેલ, 11 જિલ્લા જેલ, 2 - ખાસ જેલ, 8- સબ જેલ અને 2 - ઓપન જેલનો સમાવેશ થાય છે. હાલના તબક્કે રાજકોટ મધ્યસ્થ સુધાર ગૃહમાં 93 જેટલા મહિલા કેદીઓને અલગ અલગ વિભાગમાં રાખવામાં આવ્યા છે.


રાજકોટ જેલ ખાતે કેદીઓને ‘સ્વ’નો સાક્ષાત્કાર કરાવતા જેલ સુપ્રિટેન્ડન્ટ સુશ્રી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ સુધારણા યજ્ઞ થકી કેદીઓમાં આમુલ પરિવર્તન આણ્યું છે.આમ, રાજ્ય સરકાર અને જેલ પ્રસાશન દ્વારા જેલમાં રહેલી મહિલા કેદીઓના ઉત્કર્ષ માટેના કાર્યો થકી સમાજમાં તેના પૂન:સ્થાપન દ્વારા નારીશક્તિની એક અલગ જ પહેચાન કરાવવામાં આવી રહી છે.