રાજકોટ : ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી (Gujarat Municipal corporation election 2021)ના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાની સરકાર બનાવી રહી છે આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani)ના શહેર રાજકોટમાં (Rajkot)માં ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. ભાજપનો અહીંયા ફક્ત જ્વલંત વિજય નથી થયો પરંતુ કૉંગ્રેસના સૂપડાં સાફ પણ કર્યા છે. ગત ચૂંટણીમાં એટલે કે વર્ષ 2015ની મહાનગર પાલિકાની ચૂંટણી કરતાં ભાજપને બમણી બેઠકો મળી છે.
રાજકોટ મનપાના જંગમાં આ વખતે 72 બેઠકોમાંથી 68 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે. ભારતીય જનતા પાર્ટીની આ થિયરીમાં રાજકોટ શહેરના અનેક નવયુવાનો જીત્યા છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ફાળે 38 બેઠકો ગઈ હતી જ્યારે કૉંગ્રેસ 34 બેઠકો જીત્યુ હતું તો ભારતીય જનતા પાર્ટીનો રકાસ પણ નીકળ્યો હતો. જોકે, આ ચૂંટણીમાં ભાજપે 68 બેઠકો પર કબજો જમાવ્યો છે જ્યારે કૉંગ્રેસ માત્ર 4 બેઠક જીત્યુ છે.
આ ભવ્ય જીત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે." વિજય રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. માનનીય વડાપ્રધાન @narendramodiએ શરૂ કરેલા વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે."
ગઈકાલે એટલે કે મત ગણતરીના એક દિવસ પહેલા સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "દિશાહીન અને નેતૃત્વવિહીન કૉંગ્રેસ આ વખતે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં હરીફાઈમાં હતી જ નહીં. ગઈકાલે રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાનની ટકાવારી સ્પષ્ટ દર્શાવે છે કે, કૉંગ્રેસના મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના અનેક જનહિત કાર્યો અને પારદર્શી સુશાસનના પરિણામે ભાજપા પ્રત્યે મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે આવતીકાલે મતગણતરીના પરિણામોથી આપોઆપ પૂરવાર થઈ જશે."