હરીન માત્રાવાડિયા, રાજકોટ : ગોંડલ શહેરમાં કોવિડ હૉસ્પિટલ (Gondal Covid 19 Hospital)નો પેરા મેડિકલ સ્ટાફ ભાગી જતા હોસ્પિટલ (Hospital) બંધ થઈ ચૂકી છે. ગોંડલમાં ખટારા સ્ટેન્ડ પાસે આવેલા સાયન્સ સેન્ટર ભવનમાં એક સપ્તાહ પહેલાં શરૂ થયેલી કોવિડ -19 હૉસ્પિટલનું માત્ર એક સપ્તાહમાં બંધ થઈ ગઈ છે. કોરોના હોસ્પિટલનો સ્ટાફ (Covid Hospital Staff) નાસી જતાં તબીબો મૂંઝવણમાં મૂકાયા હતા. સ્ટાફ વગર હૉસ્પિટલ ચલાવવી મુશ્કેલ હોવાથી હાલ હૉસ્પિટલ બંધ કરી દેવાઇ છે.
હૉસ્પિટલના તબીબ ડો.પિયુષ સુખવાલાના જણાવ્યા મુજબ હૉસ્પિટલનો પેરા મેડિકલ સ્ટાફ નાસી જતાં હૉસ્પિટલ બંધ કરાઇ છે. સ્ટાફની વ્યવસ્થા થશે તો હૉસ્પિટલ ફરી શરૂ કરવામાં આવશે. હૉસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોના દર્દીઓને નોર્મલ સ્થિતિ થતાં રજા આપી દેવામાં આવી છે. જોકે, ત્રણ દિવસ પહેલાં હૉસ્પિટલમાં સારવાર દરમિયાન બે વૃદ્ધનાં મૃત્યું થતાં ઉહાપોહ થવાં પામ્યો હતો.
એક વૃદ્ધનાં મૃતદેહને યોગ્ય રીતે પ્લાસ્ટિકમાં લપેટ્યા વગર જ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આ કારણે પરિવાર રોષે ભરાયો હતો. આ બનાવને પગલે હૉસ્પિટલનો નર્સિંગ સહિતનો પેરા મેડિકલનો સ્ટાફ ડરના માર્યા નાસી ગયો હતો. ગોંડલમાં કોવિડ હૉસ્પિટલ શરુ કરવામાં આવી હતી તે સમયે જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી સહીત હાજર રહ્યા હતાં. પરંતુ યોગ્ય દેખરેખના અભાવે આખરે હૉસ્પિટલને તાળા લાગ્યાં છે. એક બાજુ ગોંડલમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોવિડ હોસ્પિટલ બંધ થતાં હવે ગોંડલનાં દર્દીઓને ફરી રાજકોટ દોડવું પડશે.