હરિન માત્રાવાડિયા, રાજકોટ : દર્દી કોરાના પોઝિટિવછે કે કેમ તેના વધું સ્પષ્ટ નિદાન માટે RTPCR ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે. રાજકોટની સિવિલ હોસ્પિલટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી covid-19 RTPCR લેબોરેટરી જાણે કોવિડ હોસ્પિલટલનું હ્રદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે. વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે કે નેગેટિવ આવે તે રિપોર્ટ આવ્યા બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શકય બને અને આ કામ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં આવેલ માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કાર્યરત આર.ટી.પી.સી.આર લેબોરેટરીના તબીબો અને ટેકનિશિયન સ્ટાફ જીવના જોખમે કરી રહ્યો છે. રાજકોટની સિવિલની આ લેબ દ્વારા અત્યાર સુધીમાં માર્ચ 2020 થી અત્યાર સુધીમાં 204072 આરટીપીસીઆર રીપોર્ટ કરવામાં આવ્યા છે.
માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020 થી આ લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.જેમાં કોરાના અંગેના નમુનાની આર.ટી.પી.સી.આર મેથડથી ચકાસણી થાય છે. વર્ષ 2020 દરમ્યાન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય,ગીરસોમનાથ જિલ્લો, અને સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી. હાલમાં આ લેબમાં અંદાજે 2500 થી 3000 દૈનિક કોરાના અંગેના નમુનાની ચકાસણી કરવામાં આવે છે. RTPCR લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે. સૌ પ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમમાં આવેલ સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રકિયા કરવામાં આવે છે.ત્યારબાદ વાઇરસમાં રહેલ RNAને અલગ કરવામાં આવે છે.
ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ અલગ કરેલ RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રીએજન્ટમાં ઉમેરી COVID-19 વાઇરસ છે કે નહી તે જોવા માટે RTPCR મશીનમાં બે કલાક મુકવામાં આવે છે. RTPCR મશીનમાં ગ્રાફ જોઇને આ વાઇરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. આ સમગ્ર પ્રક્રીયા પુર્ણ થતા સુધી આશરે 6થી8 કલાક જેટલો સમય લાગે છે.આ સમગ્ર પ્રકીયા માટે બાયો સેફટી કેબીનેટ કલાસ 2એ, આરટીપીસીઆર મશીન, માઇનસ 20 ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા અતિ આધુનિક સાધનોની જરુર પડે છે. જે રાજય સરકાર દ્વારા રાજકોટને ફાળવવામાં આવેલ છે.
પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇનચાર્જ પ્રાધ્યાપક અને વડા ડો. જી.યુ.કાવઠીયાના જણાવ્યા અનુસાર હાલમાં કોવિડ-19 ટેસ્ટીંગનું ભારણ ખુબ જ હોય આ લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, વર્ગ 4ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો એમ સમગ્ર લેબની ટીમ 24 કલાક રાઉન્ડ ધ કલોક દર્દીઓ માટે સેવા આપે છે.