

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન ‘‘સૌની’’ યોજના અન્વયે સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવો અને 400 થી વધુ ચેકડેમમાં 4 હજાર મીલીયન ઘનફૂટ પાણી ઉદવહન (લીફટ) કરીને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે. એટલું જ નહિ, લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ઢોર-ઢાંખરને પણ પાણી મળી રહેશે. આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઈલ ફોટો)


તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલ આ જળાશયો, તળાવો અને ચેકડેમોને ભર ઉનાળામાં ભરવા માટે અંદાજે 4000 મિલિયન ઘન ફુટ નર્મદાના નીર સિંચાઈ વિભાગ દ્વારા ઉદવહન કરીને નખાશે. (ફાઇલ તસવીર)


આ કામગીરી ત્રણ તબક્કામાં ચાલી રહી છે મોરબીના મચ્છુ-2 જળાશયથી જામનગરના ઉંડ-1 જળાશય સુધીની લિંક-1ની પૂર્ણ થયેલ કામગીરી દ્વારા મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરીનો પ્રારંભ તારીખ ૨૧મી મે 2020થી શરૂ કરી દેવાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં ‘સૌની’ યોજનાની અન્ય ત્રણ લિંક કેનાલો દ્વારા આ તળાવો, જળાશયો, ચેકડેમો તબક્કાવાર આયોજનબદ્ધ રીતે ટૂંક સમયમાં ભરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)


તેમણે ઉમેર્યું કે આ જળાશયો, ચેકડેમો અને તળાવો ભરાવાથી ઉનાળાની સિઝનમાં ઢોરઢાંખરને પીવાના પાણી સહિત નાગરિકો માટે પણ પીવાના પાણીની સમસ્યાનો હલ થશે. સાથે-સાથે ભૂગર્ભજળ પણ રીચાર્જ થવાનો મહત્વનો ફાયદો થતાં સિંચાઇ માટે પાણી પણ મળી રહેશે. (પ્રતિકાત્મક તસવીર)