એતુલ જોષી, મોરબી: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. મોરબીમાં 30 ઓકટોબરના દિવસે સર્જાયેલી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં 141થી વધુ લોકો મોતને ભેટ્યાં હતાં. તેમજ કેટલાય માતા-પિતાના કાળજાના કટકા મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા, ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એક દીકરીનો ગઇકાલે જન્મદિવસ હતો. જેની પરિવારજનોએ બટુક ભોજન કરાવીને ઉજવણી કરી હતી અને આ ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
મોરબીના નજરબાગ પાસે આવેલી ગાંધી સોસાયટીમાં રહેતા સ્વ. મનીષાબેન રાજેશભાઈ ચૌહાણ ઝૂલતા પુલ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા અને તેમનો જન્મ 17 માર્ચ, 2001ના રોજ થયો હતો. ગઇકાલે તેમનો જન્મદિવસ હતો ત્યારે સ્વ.મનીષાબેનના જન્મદિવસની પરિવારજનોએ બટુક ભોજન કરાવી તેમના ફોટો કેક કટિંગ કરીને ઉજવણી કરી હતી. તેમજ આ ઉજવણીમાં ગાંધી સોસાયટીના લોકો પણ જોડાયા હતા.