મોરબી : મોરબીમાં આજે પણ જેની સ્મૃતિ કાળજા કંપાવી દે છે તે મચ્છુ જળ હોનારતને 43 વર્ષ થઈ ગયા છે. 11 ઓગસ્ટ 1979માં મોરબીના મચ્છુ ડેમ તૂટતા મોરબીમાં ભયાનક જળ પ્રલય સર્જાયું હતું અને આ મોતના તાંડવથી પળભરમાં તો શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું. જેમા અનેક પરિવારના સ્વજનો મોતને ભેટયા હતા આ મચ્છુ જળહોનારતને ગીનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે. દર વર્ષે આજના દિવસે 21 સાયરન વગાડી દિવંગતોને પુષ્પાજલી અર્પણ કરવામાં આવે છે અને મૌન રેલી યોજી શ્રદ્ધા સુમન અપર્ણ કરવામાં આવે છે. જેની સાક્ષી વાતાવરણ પણ પૂરતું હોવાની માન્યતા છે. મોરબીના આ જળ પ્રલયની વાત કરતા લોકોની આંખોમાંથી હજુ આંસુ રોકાઈ શકતા નથી.
મોરબી શહેર આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ મોરબીવાસીઓ મચ્છુ જળ પ્રલયની ઘટનાને ક્યારેય ભૂલી નહીં શકે. મચ્છુ-2 ડેમ તૂટતા કલ્પી ન શકાય તેવી તારાજી થઈ હતી. મોરબી શહેર પળભરમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું હતું. 11 ઓગસ્ટ 1979ના દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન ધબકતું હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે મહાકાય ગણાતા મચ્છુ-2 ડેમના માટીના પાળા તૂટતા મચ્છુ ડેમના રાક્ષસી કદના મોજા મોરબી શહેર પર ફરી વળતા ભયાનક પુર આવ્યું હતું. આ જળ હોનારતની દુર્ઘટના બાદ મોરબી તરફ વિશ્વભરમાંથી માનવતાનો ધોધ વરસ્યો હતો.
મોરબીને બેઠુ કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પુરગ્રસ્તો અને અસરગ્રસ્તો માટે અસરકારક કામગીરી કરી હતી. બાદમાં ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થઈને મોરબીએ ખુમારી અને જીંદાદિલીથી પોતાનુ નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે મચ્છુ જળ હોનારતની વરસી જ્યારે આવે છે. ત્યારે મોરબીવાસીઓ તે ઘટનાને યાદ કરીને દિવંગતોને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે.
દર વર્ષે નગરપાલિકા તંત્ર દ્વારા મૌન રેલી કાઢી મણીમંદિર ખાતે આવેલા દિવંગતોના સ્મૃતિસ્તંભને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ અમેરિકાની બે છાત્રાઓ ઉત્પલ સાડેસરા અને ટોમ વુડને મચ્છુ જળ હોનારતની સત્ય હકીકત બહાર લાવવા માટે ગહન સંશોધન કરીને પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે કે ક્ષમતાની અયોગ્ય ગણતરીના કારણે મચ્છુ-૨ ડેમના માટીના પાળા તૂટી ગયા હતા. કેન્દ્ર સરકારની અનેક ચેતવણી છતા રાજ્ય સરકારના તે વખતના ઇજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહતમ શક્ય આવકની ગણતરી કરવામાં જૂની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
બંધના દરવાજાઓની પાણી છોડવાની ક્ષમતા દર સેકન્ડે 2.2 લાખ ઘનફૂટથી વધુ હતી. હોનારતના આગલા દિવસે જળાશયમાં પાણીની આવક 33 સેકન્ડે 4 લાખ ઘન ફૂટથી વધુ હતી. હોનારતનું મૂળ કારણ કુદરતી પ્રકોપ ન હતો. જે તત્કાલીન સરકારનો દાવો હતો. તે દરવાજાના સંચાલનની ખામી પણ ન હતી. જે અત્યાર સુધી મોરબીવાસીઓની માન્યતા છે. પરંતુ ઇજનેરની તદ્દન ખોટી ગણતરી આ દુર્ઘટના માટે જવાબદાર હતી.
ઉપરાંત પુસ્તકમાં જણાવાયું છે કે, મોરબી-માળિયાની પ્રજાને સમયસર ચેતવણી પણ અપાઈ ન હતી. તેને કારણે હોનારતની જાનહાનીનો આંકડો આટલો મોટો હતો. ટેલિફોન અને તારની સુવિધા બગડી ગઈ હતી. બંધ ઉપરના કામદારો કોઈનો સંપર્ક સાધી શકે તેમ ન હતા. અમુક વિસ્તારોમાં સમયસર ચેતવણી આપીને લોકોને ઊંચા વિસ્તારોમાં ખસેડી શકાયા હોત. સંપર્ક સાધવાના સાધનોની અપૂરતી જાળવણીને કારણે બંધના નીચાણવાસમાં લોકોનો સંપર્ક થઈ શક્યો ન હતો.
સ્મૃતિ સ્તંભ પાસે આજે પણ આ લોકોમાં પરિવારજનો પુષ્પાજલી માટે આવે છે અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. જે દ્રશ્યો આજે પણ મોરબીવાસીઓમાં ઘર કરી ગયાની છબી દર્શાવે છે. આ દસથી બાર કલાક ચાલેલા મહાકાય વિનાશકારી જળ પ્રલયમાં 6158 મકાનો ધરાશાયી થયા, 1800 ઝુંપડા નાશ પામ્યા, 3900 મકાનને નુકશાન થયું, 12849 ઢોર મૃત્યુ પામ્યા, 1439 મૃતદેહો મળ્યા 28.39 કરોડનું નુકશાન થયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, બિનસતાવાર આ આંકડા ઘણા ઉંચા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.
હાલ મોરબી ફરી પગભર થયુ છે, પરંતુ પોતાના સ્વજનોની ખોટ અને આ ગોઝારા પુરને હજુય ભુલાવી શક્યા નથી. જ્યારે આ દિવસને મોરબીવાસીઓ યાદ કરે છે, ત્યારે તેમની આંખોમાં આંસુ રોકાતા નથી. આ પુર માટે જ એક ગુજરાતી ફિલ્મ મચ્છુ એકટ ઓફ ગોડ પણ બનાવવામાં આવ્યું છે ત્યારે આ ઘટના મોરબીના ઇતિહાસમાં કેદ થઈ ગઈ છે જે ભુલાવી મોરબી વાસીઓ માટે અશક્ય બની ગયું છે.