અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢના સક્કર બાગ ઝૂમાંથી (Junagadh Sakkar bagh zoo) જેટલા સિંહોનો જથ્થો અનામત રાખવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે. દેશના એક માત્ર લાયન બ્રિડિંગ સેન્ટર (Lions Breeding Center) એવા જૂનાગઢ સક્કર બાગ ઝૂના સિંહો દેશના જુદા જુદા ઝૂને આપવામાં આવશે. જોકે, આ સિંહો એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ (Animal Exchange) હેઠળ આપવામાં આવનાર છે જેના બદલમાં કેવડિયા જંગલ સફારીના વિકાસનું આયોજન છે. કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દેશનું સૌથી મોટું જંગલ સફારી પાર્ક (Statue Of Unity Jungle Safari Park) બનાવવાનું આયોજન છે. આ સફારી પાર્કના વિકાસ માટે જુદા જુદા પશુ-પક્ષી પ્રાણીઓની જરૂરિયાત સર્જાઈ છે જેને મેળવવા માટે સક્કર બાગ ઝૂના સિંહોનો સહારો લેવામાં આવશે.
કેવડીયા જંગલ સફારી પાર્ક ને વધુ ડેવલપ કરવા રાજ્ય સરકાર તરફ થી જુનાગઢ ઝૂને મળેલી સુચના અનુસાર 40 જેટલા સિંહો કે જેનો જન્મ સક્કરબાગમાં થયો તેવા સિંહોને દેશના અને વિદેશના ઝૂમાં આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ આપવામાં આવશે અને તેને બદલામાં કેવડીયા સફારી પાર્ક અન્ય ઝૂમાંથી અલભ્ય એવી પશુ પક્ષીઓની જાતી મેળવશે.
હાલ જૂનાગઢ સક્કર બાગ ઝૂમાં અંદાજીત 71 જેટલા સિંહો છે ત્યારે કેવડીયા જંગલ સફારી પાર્કને ડેવલપ કરવા જુનાગઢ સક્કર બાગ ઝૂ 40 જેટલા સિંહો અન્ય ઝૂને આપવામાં આવશે. પુરા ભારત દેશ માં એક માત્ર જુનાગઢ સક્કર બાગ ઝૂ સિંહોનું બ્રિડીંગ સેન્ટર છે અને અહી સિંહોની માવજતને હિસાબે દર વર્ષે સિંહોની સંખ્યમાં વધારો થતો જાય છે.
છેલ્લા પાંચ વર્ષમાં આ બ્રિડીંગ સેન્ટરમાં 52 જેટલા સિંહોનો જન્મ થયો છે અને તે તમામ સુરક્ષિત રીતે મોટા થઇ થયા છે. ગત વર્ષે ૨૪ સિંહ બાળનો જન્મ થયો હતો જે એક રેકોર્ડ છે, ચાલુ વર્ષે પણ 24 જેટલા સિંહ બાળ નો જન્મ થઇ શકે છે. આમ આ સિંહોનું સંવર્ધન કરી અને તેને સુરક્ષિત રીતે અહીંયા ઉછેરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર તેના સાટાપાટા દ્વારા કેવડિયા જંગલ સફારીના નજારામાં ઉમેરો કરશે.
આ અંગે સક્કરબાગ ઝૂના આરએફઓ નીરવ કુમારે ન્યૂઝ 18ને જણાવ્યું, 'જૂનાગઢ સક્કર બાગ ઝૂ અને કેવડિયા જંગલ સફારી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી આ બંને સરકાર હસ્તક ઝૂ છે. સક્કર બાગના બ્રિડીંગસેન્ટરમાંથી જન્મેલા 40 જેટલા સિંહોને અનામત રાખવાની સરકાર દ્વારા સૂચના મળી છે. આગામી સમયમાં આ સિંહો દેશ-વિદેશમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જશે અને તેના બદલામાં કેવડિયા જંગલ સફારી માટે જુદા જુદા પ્રાણી-પક્ષીઓ લાવવામાં આવશે.'