

જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે. જામનગર જિલ્લામાં આંતર રાષ્ટ્રીય ઘારાધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે. ગુજરાત હાઇકોર્ટની સૂચના મુજબ રચવામાં આવેલી હાઈ પાવર કમિટીએ આપેલી ભલામણોના આધારે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના આ યાર્ડને પુનઃ કાર્યરત કરવા આવશે. જેના પરિણામે સચાણાનો શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો મળશે. (પ્રતિકાત્મક તસવીર)


સચાણા નાના અને મધ્યમ કદના જહાજોને બ્રેકિંગ કરવા માટે યોગ્ય સ્થળ હોવાથી તે 1977થી કાર્યરત હતું. પરંતું દરિયાકિનારે આવેલ જમીનના એક ભાગ દરિયાઇ અભયારણ્યની માલિકીમાં આવે કે જીએમબીની હદમાં તે બાબતે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં વન વિભાગ દ્વારા આ જમીનના દરિયાઇ અભયારણ્ય માટે હોવાનો દાવો રજૂ થયો હતો. જેના કારણે ગુજરાત હાઇકોર્ટે તા. 11/5/2012 ના રોજ આદેશ આપ્યો હતો કે, જ્યાં સુધી ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અથવા સંબંધિત મંત્રાલય અથવા સક્ષમ ઓથોરિટી દ્વારા યોગ્ય મંજૂરી મેળવવામાં નહીં આવે ત્યાં સુધી અને કોર્ટ આગળના હુકમ પસાર ન કરે ત્યાં સુધી સચાણા ખાતે જહાજ તોડવાની કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી નહીં. (પ્રતિકાત્મક તસવીર)


આ મામલે તા.19/2/2020 ના હુકમ મુજબ રાજ્ય સરકારે પક્ષકારોને તેની હાઇપાવર કમિટિ સમક્ષ સાંભળવાની તક આપી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે સચાણા ખાતે ડી.એલ.આઇ.આર દ્વારા વન વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સચાણા ગામની હદની માપણી કરી હતી. જે અંગે હાઇપાવર કમિટિની મીટીંગમાં માપણી રીપોર્ટને રજુ કરવામાં આવ્યો હતો. જમા એવું ફલિત થયું કે, સચાણા ગામની સીમા, તથા 2012થી બંધ કરવામાં આવેલા આ શિપ બ્રેકિંગ પ્લોટ્સ વન વિભાગના અનામત જંગલના સેક્શન 4 અને મરીન અભયારણ્યના હદની બહાર આવે છે. તેથી કમિટિએ આ જગ્યા ગુજરાત મેરીટાઇમ બોર્ડની હદમાં આવતી હોઇ શિપ બ્રેકિંગ યાર્ડ પુન: ચાલુ કરવા માટે બોર્ડને પરત સોંપવાનું નક્કી કર્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


હવે મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવાની કરેલી પહેલના ફળદાયી પરિણામ રૂપે 2012થી બંધ પડેલી સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિ પુનઃ વેગવાન બનશે. વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે. કોરોના વાયરસની સ્થિતિમાં લોક ડાઉનને પરિણામે ઉદ્યોગો ધંધા રોજગાર વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે તેવા સંજોગોમાં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ આનુષાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ મળશે. (પ્રતિકાત્મક તસવીર)