જામનગર: "આમા કોઈનો વાંક નથી. મારા ઘરના કે કોઈનો વાંક નથી. હું મારા મનથી મારી જિંદગી છોડું છું. કોઈને હેરાન ન કરતા. નકર મારો જીવ નહીં જાય. હું મારી મનથી મારી જિંદગી છોડું છું." જામનગર (Jamnagar)માં એક 21 વર્ષીય યુવતીએ ઉપર મુજબની ચીઠ્ઠી લખીને આપઘાત કરી લીધો છે. આપઘાત (Suicide)નો બીજો એક બનાવ વડોદરા શહેર (Vadodara city)માં બન્યો છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે સામાન્ય ઝઘડામાં પત્ની (wife)ને લાગી આવતી તેણીએ સાતમાં માથેળી કૂદીને આપઘાત કરી લીધો હતો. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં આપઘાતના અનેક બનાવો સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ સુરતની એક યુવતીએ સગાઈના પાંચ દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો.
કેસ-1: જામનગરમાં યુવતીનો આપઘાત: જામનગર શહેરમાં આવેલી પટેલ કોલોની ખાતે રહેતી 21 વર્ષની ડિમ્પલ આસોડિયાએ કોઈ કારણસર સુસાઈડ નોટ લખીને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બનાવ ધ્યાનમાં આવ્યા બાદ તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, 108નો સ્ટાફ કંઈ કરતે તે પહેલા જ યુવતીનું મોત થઈ ચુક્યું હતું. આ બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિવારના સભ્યોની પૂછપછ કરી હતી. તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી આવી છે. યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેણી પોતાની મરજીથી જિંદગી ટૂંકાવી રહી છે. આ પાછળ કોઈને વાંક નથી.
કેસ-2: પતિ સાથે સામાન્ય વાતે ઝઘડા બાદ પત્નીનો આપઘાત: વડોદરા શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં આપઘાતના અનેક બનાવો સામે આવ્યા છે. સોની પરિવારના સામુહિક આપઘાત બાદ અહીં સતત આપઘાતના બનાવો સામે આવ્યા છે. બે દિવસ પહેલા જ એક યુવકે પત્નીના ત્રાસથી આપઘાત કરી રહ્યાનું લખીને આપઘાત કરી લીધો હતો. હવે એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. મળતી માહિતી પ્રમાણે માણેજા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાતમાં માળેથી પડતું મૂકી મોતને આપઘાત કર્યો છે. કુલરમાં પાણી નાખવા બાબતે પતિ સાથે થયેલા ઝઘડા બાદ લાગી આવતા પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરી લેનાર પરિણીતાનું નામ વૈશાલી દેશમુખ છે. વૈશાલીનો પતિ સૌરભ એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. બંનેના લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલા થયા હતા.
કેસ-3: સગાઈના પાંચ દિવસ પહેલા જ યુવતીએ કરી લીધો આપઘાત : સુરત જિલ્લામાં એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 વર્ષીય યુવતીએ પોતાની સગાઈ પહેલા જ આપઘાત કરી લેતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે. યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સુરતના બારડોલીના ધામદોડ લુભા ગામ ખાતે આ બનાવ બન્યો હતો. આપઘાત કરી લેનારી યુવતીએ. બી.ઈ. સુધીનો અભ્યાસ કર્યો છે. આપઘાત કરી લેનાર યુવતીનું નામ અંજલી છે. અંજલીની બે બહેનોનાં લગ્ન થઈ ગયા છે, જ્યારે પરિવારે પાંચ દિવસ બાદ અંજલીને સગાઈ નક્કી કરી હતી. આ દરમિયાન જ અંજલીએ આપઘાત કરી લેતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
કેસ-4: પિતાએ પેપ્સી ન પીવડાવતા બાળકનો આપઘાત : પાટણના સિદ્ધપુરમાં એક 11 વર્ષના બાળકે પિતાએ પેપ્સી લેવા માટે પૈસા ન આપતા આપઘાત કરી લીધો છે. દીકરાની તબિયત સારી ન હોવાથી પિતાએ તેને પેપ્સી માટે પૈસા આપ્યા ન હતા. જે બાદમાં દીકરાએ ઘરનો દરવાજે બંધ કરીને પંખા સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ વાતની જાણ થતાં જ પિતાએ તેને તાબડતોબ હૉસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.