

દિનેશ સોલંકી, ગીર : ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ.કેશુભાઈ પટેલના (Keshubhai Patel) અસ્થિ સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટમા (Triveni ghat) વિસર્જિત કરાયા છે. સ્વ. કેશુભાઈ પટેલનું આશરે 92 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ નિધન થતા આજે તેમના પરિવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા ત્રિવેણી ઘાટમાં અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું.


કહેવાય છે, જ્યાં ભગવાન કૃષ્ણ પણ અહીથી જ નિજ ધામ પધાર્યા હતા અને મહાભારત યુદ્ધ બાદ પાંડવો દ્વારા પણ અહીં પિતૃ મોક્ષ માટે પિંડદાન કરાયું હતું. સોમનાથની ભૂમિ ને હરિ અને હરની ભૂમિ કહેવામાં આવે છે. સોમનાથ ખાતે સરસ્વતી, કપિલા અને હિરણ નદીનું સંગમ થાય છે. જેના કારણે આ નદીને ત્રિવેણી નદી કહેવામાં આવે છે.


શાસ્ત્રો અનુસાર ત્રિવેણીમાં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે સ્વ.કેશુભાઈ પટેલ લગભગ 2 દાયકાથી વધુથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં પણ નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓએ વધારે એક વખત કેશુભાઈ પટેલને અધ્યક્ષ તરીકે સર્વાનુમતે નિમણૂક કર્યા હતા.


સ્વ. કેશુભાઈ પટેલનું ટૂંકી બીમારી બાદ નિધન થતા તેમના અસ્થિઓનું આજે તેમના પરિવારે ત્રિવેણીમાં વિસર્જન કર્યું. સ્વ.કેશુભાઈ ના દીકરા, ભરતભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, સ્વ.કેશુભાઈ પટેલની ઇચ્છા હતી કે, સોમનાથમાં પાર્વતીજી મંદિર બને તે પણ હાલમાં જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતીજીનું મંદિર બનાવવાનું કામ ચાલુ થશે.