દેવભૂમિ દ્વારકા: આંતકવાદી સંગઠન અલકાયદા તરપથી ગુજરાતમાં હુમલાની ધમકી (Al-Qaeda threat)ને પગલે સમગ્ર ગુજરાત (Gujarat) હાઈ એલર્ટ પર છે. જેના પગલે દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ જગત મંદિર (Dwarkadhis Temple)ની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લો આમ તો ત્રણેય તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો છે. આથી સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલું હોવાથી અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે.
આતંકવાદી હુમલાની દેહશતને પગલે દ્વારકા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પરથી પ્રવેશ કરતા વાહનોનું પોલીસ તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ, સુદામા સેતુ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ શહેરના ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસ ખાસ નજર રાખી રહી છે. મંદિર પરિસરમાં પણ ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
અલ-કાયદાની ભારતને ધમકી: મોહમ્મદ પયગંબર પર બીજેપી (BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) ના વિવાદિત નિવેદનનો મામલો આખી દુનિયામાં છવાઈ ગયો છે. ઘણા ઈસ્લામિક દેશોએ તેની નિંદા કરી છે અને ભારતીય રાજદૂતોને બોલાવ્યા છે. આજ કડીમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS) એ ભારતને ધમકી આપી છે. AQIS એ તેની ધમકીમાં કહ્યું છે કે, તે દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં હુમલા કરશે અને આમાં તે તેના આત્મઘાતી બોમ્બરોનો ઉપયોગ કરશે.
આતંકવાદી વોચડોગ ફ્લેશપોઈન્ટના સ્થાપક ઈવાન કોલમેને તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે, અલ-કાયદાએ ભારતને ધમકી આપતો સંદેશાવ્યવહાર જાહેર કર્યો છે. કોલમેને પોતાના ટ્વીટમાં અલ-કાયદાને ટાંકીને કહ્યું કે, 'અમે એ લોકોને મારી નાખીશું જેમણે અમારા નબીનું અપમાન કર્યું છે. જેઓ અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરે છે તેમને ઉડાવી દેવા માટે અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર વિસ્ફોટકો જોડીશું. તેઓને માફી કે દયા નહીં મળે, કોઈ શાંતિ અને સલામતી તેમને બચાવી શકશે નહીં.
ટ્વિટ અનુસાર, અલ-કાયદાએ કહ્યું છે કે, 'ભગવા આતંકવાદીઓ હવે દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં તેમના અંતની રાહ જોઈ રહ્યા છે. તેઓ ન તો તેમના ઘરોમાં અને ન તો આર્મી કેમ્પમાં છુપાઈ શકશે. જો અમે અમારા પ્યારા પયગંબરનો બદલો નથી લઈ શકતા, તો આપણી માતાઓ આપણાથી જુદી થઈ જાય. પાકિસ્તાન ટીટીપી બાદ અલ-કાયદા એ ભાજપના પ્રવક્તાના વિવાદાસ્પદ નિવેદન પર ધમકી આપનાર બીજું મોટું પ્રાદેશિક આતંકવાદી સંગઠન છે.
આતંકવાદીઓ પર નજર રાખતી વેબસાઈટ SITE ઈન્ટેલિજન્સ ગ્રુપે પણ આ અંગે માહિતી આપી છે. વેબસાઈટે જણાવ્યું હતું કે, "અલ-કાયદાએ પયગંબરના અપમાનનો બદલો લેવા ભારતમાં હુમલો કરવાની ધમકી આપી છે." 7 જાન્યુઆરી 2015ના રોજ, અલ-કાયદાએ મોહમ્મદના વાંધાજનક કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ પેરિસમાં ચાર્લી હેબ્દો મેગેઝિનની ઓફિસ પર આતંકવાદી હુમલો કર્યો, જેમાં 12 લોકો માર્યા ગયા.