કલ્યાણપુર : દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)ના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામ (Jam Raval Village) પર આ વર્ષે મોટી આફત આવી છે. ગામમાં એક બે વખત નહીં પરંતુ આઠ વખત વરસાદના પાણી ફરી વળ્યા છે. વર્તુ-2 (Vartu-2 Dam)અને સાની ડેમ (Sani Dam)માંથી પાણી છોડવામાં આવતા આખું ગામ બેટમાં ફેરવાય જાય છે. જામરાવલ ગામમાં ઘૂંટણસમા પાણી ભરાય જાય છે. એટલું જ નહીં ખેતરમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાય જાય છે. આ અંગે ગામ લોકો તરફથી અનેક વખ તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જોકે, બહેરા તંત્રએ ગામ લોકોની વાત કાને ન લેતા હવે ખેડૂતોએ વિરોધ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. ગામના લોકોએ તાજેતરમાં એક ખેતરમાં તરણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે, "અમારા ગામમાં નુકસાન થવાનું મુખ્ય કારણ વર્તુ-2 ડેમના એક સાથે ખોલી નાખવામાં આવેલા 20 દરવાજા છે. જેના પગલે કોઈ ઉત્પાદન થઈ શકે તેમ નથી. મેં ત્રણ વખત મગફળી વાવી છે. મેં વિઘા દીઠ વાવણી માટે આઠ હજારનો ખર્ચ કર્યો છે. એટલે કે ત્રણ વખત મગફળી વાવવાનો વિઘા દીઠ ખર્ચ 25 હજાર થયો છે. હજુ આ પાણી એક મહિના સુધી ભરાયેલું રહેશે, ત્યાર બાદ જ નવી ખેતી થઈ શકશે. આ ઉપરાંત પૂરને કારણે ખેતરમાં જે નુકસાન થયું છે તેમાં માટી નાખવાનો ખર્ચ પણ ભોગવવો પડશે."
આ મામલે ખેડૂત આગેવાન તેમજ કિસાન કૉંગ્રેસના પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, 'જામરાવલ ગામમાં આઠ વખત પાણી આવ્યું છે. તારાજીનું મુખ્ય કારણ વર્તુ-2 ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલું પાણી છે. છેલ્લી વખત જે પાણી આવ્યું તેનાથી ખેતરો નદીઓમાં ફેરવાયા છે. આ માટે આજે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિજેતાને પ્રતિકરૂપે લોલીપોપ આપી હતી.'