સૂત્રો અનુસાર, 16 વર્ષ બાદ દેવપક્ષના આચાર્ય રાકેશ પ્રસાદ સ્વામી ગઢડા મંદિરે પધાર્યા હતા. જેને લઈ 15-20 જેટલી મહિલાઓ દ્વારા તેમને મંદિર પ્રવેશ ન કરાવવાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસે મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ બોલાચાલી વધી ગઈ, અને પોલીસ અને વિરોધી મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાની માહિતી આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈ હજારો હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આચાર્યપક્ષના લોકો હાર પચાવી નથી શકતા<br />ગઢડા ગોપીનાથ મંદિરના સત્તાધારી દેવપક્ષના આચાર્ય હરી સ્વામીએ જણાવ્યું કે, અહીં છેલ્લા સાત દિવસથી સત્સંગ કથા ચાલી રહી છે. હજારો લાખો હરીભક્તો મંદિરે દર્શ માટે આવી રહ્યા છે. ગઈ કાલે આચાર્ય રાકેશ પ્રસાદજી આવવાના હોવાથી હજારો હરીભક્તો તેમના દર્શ માટે ઉમટ્યા હતા. આ સમયે અમને શંકા હતી કે, ચૂંટણીમાં હારી ગયા બાદ હાર ન પચાવી શકનારા આચાર્યપક્ષ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવશે, સાથે આટલી મોટી સંખ્યામાં લોકો લોકો આવે ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ પ્રોટક્શન માંગવામાં આવ્યું હતું. આ સમયે હજારોની સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા. તે સમયે 15-20 જેટલી મહિલાઓ દ્વારા તોફાન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. (ફોટો - જમણી તરફ આચાર્યપક્ષના એસપી સ્વામી, ડાભી તરફ દેવપક્ષના હરી સ્વામી)
આચાર્યપક્ષના ઈશારે મહિલાઓએ વિરોધ કર્યો<br />દેવપક્ષના આચાર્ય હરી સ્વામીએ આ ઘટનાનો સીધો આક્ષેપ આચાર્યપક્ષ સામે લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ ઘટના પાછળ આચાર્યપક્ષના લોકો જવાબદાર છે. તેઓ ચૂંટણીમાં પોતાની હાર પચાવી નથી શક્યા. દેવપક્ષ દ્વારા ઉત્સવો કરવામાં આવી રહ્યા છે, મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં દર્શન કરી રહ્યા છે. આ બધો આનંદ આચાર્યપક્ષના લોકો જોઈ નથી શકતા. એટલે 10-15 મહિલાઓને હાથો બનાવી સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસંગ, સ્વામીનારાયણ ભગવાનના મંદિર અને દેપક્ષને બદનામ કરવા ગમે તે હદે જઈ રહ્યા છે. વર્ચસ્વની લડાઈમાં આચાર્યપક્ષના લોકો ષડયંત્ર રચી કાયદો હાથમાં લઈ રહ્યા છે, અને મહિલાઓને આગલ કરી દેવપક્ષના વિકાસ કાર્યોમાં પથ્થર મારવાનું કામ કરી રહ્યા છે.
આ સ્વયંભૂ વિરોધ હતો, તેમાં અમારો હાથ નથી<br />આ મુદ્દે ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ સત્તાધારી આચાર્યપક્ષના વડા એસપી સ્વામીએ જણાવ્યું કે, આ મંદિરમાં 16 વર્ષથી રાકેશ પ્રસાદને પ્રવેશ આપવામાં નથી આવ્યો. ત્યારે રાકેશ પ્રસાદે આ મંદિરમાં પ્રવેશ કરતા હરિભક્તોની ભાવનાને ઠેસ પહોંચી છે, જેને લઈ મહિલાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. 200 વર્ષના,ના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, પોલીસ બુટ-ચંપલ પહેરી મંદિરમાં પ્રવેસી છે. અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. તેમણે દેવપક્ષને પ્રશ્ન કર્યો કે, કોઈ ધર્મના વડા મંદિરમાં આવતા હોય તો પોલીસ પ્રોટક્શનની શું જરૂર પડે છે? જો રાકેશપ્રસાદ ધર્મના વડા હોય તો, કેમ હરિભક્તો તેમનો વિરોધ કરી રહ્યા છે? આ વિરોધ અમે નથી કરાવ્યો આ લોકોનો સ્વયંભૂ વિરોધ હતો, તેમાં અમારો કોઈ હાથ નથી. તેમનું કહેવું છે કે, મતદાનમાં ગડબડી કરી દેવપક્ષ સત્તાપર બેસી ગયો છે, લોકો રાકેશપ્રસાદને સ્વીકારવા નથી માંગતા, તેથી 16 વર્ષથી જેમને પ્રવેશ નથી આપવા દેવામાં આવ્યો તે મંદિરમાં આવતા લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. અને સત્સંગ સમાજમાં રોષ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, 15-20 દિવસ પહેલા ગઢડા મંદિરમાં ખુબ લાંબા સમય બાદ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં દેવપક્ષની જીત અને આચાર્યપક્ષની હાર થઈ હતી. ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં સત્તા પરિવર્તન થયું અને તમામ વહીવટ હવે દેવપક્ષ સંભળશે. આ ચૂંટણી બાદ દેવપક્ષની જીત થતા ગઢડા ગોપીનાથ સ્વામીનારાયણ મંદિર અને વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં દેવપક્ષની સત્તા આવી છે, જ્યારે જુનાગઢ સ્વામી નારાયણ મંદિરની સત્તા આચાર્યપક્ષ પાસે રહી ચે. આ પહેલા ત્રણે મંદિર પર આચાર્યપક્ષની સત્તા હતી.