અમદાવાદ: ગઢડાનું સ્વામિનારાયણ મંદિર (Gadhada Swaminarayan Temple) સતત ચર્ચામાં રહે છે. અહીં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે. હવે અહીં ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ છે. આ વિવાદમાં હવે એક ગઢડા ડીવાયએસપી (DySP Nakum) પર ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ રજૂ કરવામાં આવ્યા છે. ગઢડાના એસ.પી.સ્વામી (S.P. Swami)એ ગંભીર આક્ષેપ મૂક્યો છે કે ડીવાયએસપી નકુમે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને મંદિરના નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને ઓફિસ બહાર કાઢ્યાનો આક્ષેપ મૂક્યો છે. આ સાથે જ ચેરમેનને મા-બેનની ગાળો પણ ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.
મળતી માહિતી પ્રમાણે ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની મળેલી બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હોદ્દા પરથી દૂર કરાયા છે. તેમના સ્થાને રમેશ ભગતની નિમણૂક કરવામાં આવી છે. એસ.પી. સ્વામીએ આક્ષેપ મૂક્યો છે કે, રાત્રે આઠ વાગ્યે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં ધસી આવ્યા હતા અને ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરીને તેમને બહાર કાઢી મૂક્યા હતા.
ડીવાયએસપી નકુમે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી ગાળો ભાંડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ ડીવાયએસપીની આ વરવી ભૂમિકાને લઈને આઈજી, રાજયના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી તાત્કાલિક તપાસ કરે તેવી માંગણી કરી છે. મંદિરની આ આખી ઘટનાને લઈને પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ નિવેદન આપતો વીડિયો વાયરલ કર્યો છે. (તસવીર: માથા પર થપાટ મારી)
રમેશ ભગતે શું કહ્યું?: આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા રમેશ ભગતે જણાવ્યું હતું કે, "છઠ્ઠી ડિસેમ્બરના રોજ મિટિંગમાં મારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સાંજે હરજિવનદાસ સ્વામીએ પોલીસ સ્ટાફ બોલાવીને મને ધાક-ધમકી આપીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અમારા બધા ટ્રસ્ટો હાજર હતા. ડીવાયએસપી નકુમે મને કોલર પકડીને બહાર કાઢ્યો હતો. મને ગાળો બોલી હતી." (તસવીર: કોલર પકડીને બહાર કાઢ્યા)
સીસીટીવીમાં શું જોવા મળ્યું?: આ અંગે સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ડીવાએસપી નકુમ આચાર્ય પક્ષની બેઠકમાં ધસી આવે છે. આ વખતે તેમની સાથે એક ગનમેન પણ હોય છે. તેઓ ચેરમેન રમેશ ભગત પાસે પહોંચે છે અને તેને કોલરથી પકડીને ખેંચીને બહાર લઈ જાય છે. આ દરમિયાન તે રમેશ ભગતને લાફો પણ મારે છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ડીવાયએસપી નકુમ સાદા ડ્રેસમાં હોય છે. તેઓને ચેરમેનની ખુરશી પર બેઠેલા પણ જોવા મળે છે. આ ઉપરાંત અમુક ભક્તો તેમને હાર પણ પહેરાવી રહ્યા છે. (તસવીર: ડીવાયએસપીએ હાથમાં ડંડો લીધો)
એસ.પી. સ્વામીએ લાફો માર્યોનો હરજિવનદાસ સ્વામીએ કર્યો હતો આક્ષેપ: ગત રવિવારે આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી, કારણ કે મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. દરમિયાન આ અંગે થયેલી હુંસાતુંસીમાં પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ કર્યો હતો. આ મામલે તેઓએ આચાર્ય પક્ષના એસ.પી. સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી હતી. (તસવીર: ડીવાયએસપી ચેરમેનની ખુરશી પર બેઠા)
હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 'રવિવારે નાટકીય રીતે મંદિરની સત્તા હસ્તગત કરી લીધી હોવાની આચાર્ય પક્ષની જાહેરાત બાદ સાંજે જ્યારે હું ચેરમેનની ઓફિસમાં ગયો ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી. આ સમયે એસપી સ્વામીએ મને ગાળ આપી અને લાફો મારી લીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. (તસવીર: ભક્તોએ ડીવાયએસપીને હાર પહેરાવ્યો)
એસ.પી. સ્વામીના આક્ષેપ ફગાવ્યો હતો: એસ.પી. સ્વામીના આ વાયરલ વીડિયો અંગે મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ જણાવ્યું હતું કે 'ગઈકાલની બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા કોઈ ગાળાગાળી કરવામાં આવી નથી. માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બેઠક યોજવામાં આવી હતી. બંને પક્ષો દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હોવાથી આ બેઠક બોલાવવામાં આવી હતી. સમગ્ર કેમ્પસમાં સીસીટીવી છે જેને જોવા હોય તે જોઈ શકે છે.