

વડાપ્રધાન મોદીનાં (PM Narendra Modi) ડ્રીમ પ્રોજજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની (Hazira Ghogha ro pax ferry service) શુભ શરૂઆત આજે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન (virtual inaugration) કરશે. રો-પેક્સ ફેરીનું હાલ ઓનલાઈન બુકિંગ (online booking) ચાલી રહ્યું છે. શરૂઆતના 24 કલાકમાં જ 3800 યાત્રી અને 1700 વાહનનું બુકિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, આ સેવા શરૂ થવાથી હાલ વાહન માર્ગના 370 કી.મી.નું અંતર દરિયાઇ માર્ગે ઘટીને માત્ર 90 કી.મી. થઇ જશે.


દિવાળી પહેલા રો-પેક્સ ફેરી સેવા શરૂ થવાથી વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે 20 લાખ લોકોમાં અનેરો આનંદ છે. સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે હાલ 10થી 12 કલાકની રોડ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવા શરૂ થયા બાદ આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. આ સાથે મુસાફરો પોતાની સાથે મોટર સાઈકલ કે કારને પણ તેમાં મુકી લાવી કે લઇ જઇ શકશે.


ઉલ્લેખનીય છે કે, ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે, જે પરિવહન ખર્ચાળ અને સમય લેનારૂ છે. પરંતુ, આ સેવાના પ્રરંભથી આ અંતર ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિ.મી.થઇ જશે. જેના પગલે ન માત્ર અંતર, ખર્ચ કે સમયની બચત થશે પરંતુ, સુરત-સૌરાષ્ટ્ર વચ્ચેનું પરિવહન સસ્તું અને સુગમ બનશે.


સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. વળી, અંતર ઘટવાના કારણે ન માત્ર ભાવનગર પણ રાજકોટના વેપારી મથકો સુધી પહોંચવું પણ સુગમ બનશે.


આ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોને પણ વેગ મળશે. સૌરાષ્ટ્રનાં પ્રસિદ્ધ સોમનાથ મંદિર, સાસણગીર, ગીરનાર, દ્વારકા, શેત્રુંજય, જામનગરના ઇકો ટુરીઝમને વેગ મળશે. એટલું જ નહીં, સરકાર સંબંધિત મંત્રાલયના એક દાવા પ્રમાણે, રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે 9000 લીટર ઈંધણી બચત થશે. ઈંધણનાં વપરાશમાં ઘટાડાને કારણે દેશનાં અર્થતંત્ર પર પણ મોટી અર પડશે.