Ashish Parmar, Junagadh : માત્ર જૂનાગઢ નહી સમગ્ર ગુજરાતમાં મહેન્દ્રભાઇ મશરૂ મોટો ચાહક વર્ગ ધરાવે છે. તેમનાં નામ સાથે કામ પણ બોલે છે. ચાર ટર્મ જૂનાગઢનાં ધારાસભ્ય રહ્યાં હતાં. શરૂઆતમાં અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતાં. ભાજપ અને કોંગ્રેસનાં મજબુત ઉમેદવારોને માત આપી વિધાનસભામાં પહોચ્યાં હતાં. મહેન્દ્રભાઇ મશરૂ એક માત્ર ધારાસભ્ય હતાં, કે જેણે પગાર વધારાનો વિરોધ કર્યો હતો અને ધારાસભ્યને મળતો પગાર લીધો ન હતો. તેમજ એસટી બસમાં મુસાફરી કરતા હતાં. મહેન્દ્રભાઇ રાજકારણમાં આવ્યાં ત્યારે માતાએ સોનેરી સલાહ આપી હતી. આ અંગે મહેન્દ્રભાઇ મશરૂએ કહ્યું હતું કે, મારો રાજકારણીઓ સાથે જીવંત સંપર્ક ઓછો રહે છે. મને ગાંધીનગરમય બની જવું ગમતું નથી. હું લોકોનું ભલું કરવાનાં ઇરાદે રાજકારણમાં આવ્યો છું. હું રાજકારણમાં આવ્યો ત્યારે મારા બાએ મને કહેલુ કે, તું લોકોના કામ કરવા માટે વિધાનસભામાં જાય છે. એટલે તેનું વળતર ન લતો.
મુળ માણાવદરનાં વતની મહેન્દ્રભાઇ મશરૂનો જન્મ કેશોદ તાલુકાનાં કણેરી ગામે થયો હતો.બાળપણ માણવદરમાં વિત્યું હતું. પ્રાથમિક શિક્ષણ માણાવદરમાં પૂર્ણ કરી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં પૂર્ણ કર્યુ હતું. બાદ બહાઉદીન કોલેજમાં કોલેજનો પ્રારંભ કર્યો હતો. પોતે ડોકટર બની સમાજ સેવા કરવા માંગતા હતાં. પરંતુ આંદોલનમાં જોડવાનાં કારણે તબીબ ન બની શક્યાં. પરંતુ બીએસસી અને એલએલબી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મશરૂભાઇમાં પહેલથી નેતૃત્વનાં ગુણ હતાં. આ ગુણનાં કારણે શ્રેષ્ઠ સેવાભાવી અને એક લીડર બની જૂનાગઢમાં ઉભરી આવ્યાં હતાં.
સેવાની સાથે હવે રાજકારણમાં જવાનો પણ નિર્ણય કરી લીધો હતો. રાજકારણનાં માધ્યમથી લોકોની વધુ સેવા કરી શકાય તેવુ માનતા હતાં. 1990 માં પ્રથમ વખત અપક્ષ ઉમેદાવર તરીકે ચૂંટાયા. પ્રથમ વખત ચૂંટણીની સભામાં કહ્યું હતું કે, હું ધારાસભ્યને મળતા કોઇ જ લાભ નહી લવ. બાદ આજ સુધી મહેન્દ્રભાઇ મશરૂએ ધારાસભ્યને મળતા એક પણ લાભ લીધા નથી. તેઓ ગાંધીનગર જતા ત્યારે પણ એસટી બસમાં બેસીને જતા હતાં. 1995માં ફરી ચૂંટણી આવી. 31 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતાં. કોંગ્રેસ,ભાજપનાં ઉમેદવાર પણ ચૂંટણી લડતા હતાં. ચૂંટણીમાં ખસી જવા પ્રલોભન અને દબાણ પણ થતું હતું. આ ચૂંટણીમાં તો મહેન્દ્રભાઇ મશરૂએ રેકોર્ડ બનાવી નાખ્યો હતો. તેની સામે ઉભેલા તમામ 30 ઉમેદવારની ડીપોઝીટ ગઇ હતી. અપક્ષ ઉમેદવારનું આજ સુધીની ચૂંટણીમાં આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું. સતત અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યાં. 1998માં ભાજપમાં પ્રવેશ કર્યો અને ભાજપનાં નિશાન ઉપર વિજેતા બન્યાં હતાં. રાજકારણમાં આવ્યા બાદ પણ સેવાનાં મંત્રને કયારે પણ ભુલ્યા ન હતાં. આજે પણ તેના પાસે કાર નથી.
જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય પોસ્ટ ઓફિસ રોડ પર આવેલા જલારામ મંદિરના નવીનીકરણની કામગીરી સંભાળી રહ્યા છે. આ પૌરાણિક મંદિરના તમામ કાર્યોમાં મહેન્દ્રભાઈ મશરૂ હંમેશા સક્રિય રહ્યા છે. ત્યારે હાલમાં આ મંદિરના નવીનીકરણની જે પણ પ્રક્રિયા ચાલી રહી છે તેમાં સમગ્ર વહીવટ અને કામગીરી તેઓ હાલમાં જોઈ રહ્યા છે અને પોતાની કામની જવાબદારી નિભાવી રહ્યા છે.