કિંજલ કારસરીયા, જામનગર: જામનગર (Jamnagar) નજીકના દરેડ વિસ્તારમાં સગર્ભા નેપાળી મહિલાની હત્યાની (Pregnant nepali woman murder) ઘટના સામે આવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે હાલ હત્યા કરાયેલ સ્થળ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ (CCTVfootage) લઈને એક શકમંદની પણ ઓળખ કરી લીધી છે. અને જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઘટના લૂંટના ઇરાદે થઈ હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે જામનગરની ભાગોળે આવેલા દરેડ વિસ્તારમાં એક સગર્ભા નેપાલી મહિલાની રવિવારે હત્યા નીપજાવવામાં આવી હતી. કોઈ અજ્ઞાત શખ્સો ચોરીના ઈરાદે આવી અને ઘારદાર અથવા બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી ભાગી છૂટ્યાનું અનુમાન લગાવી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ખાસ એફએસએલ અને શ્વાનની પણ મદદ લેવાઈ રહી છે. જામનગરની ભાગોળે આવેલા દરેડ વિસ્તારમાં નવા બની રહેલા એક ગોદામના સ્થળે રહીને ચોકીદારી કરતા ઇન્દ્રબહાદુર નેપાળીની 38 વર્ષીય સગર્ભા પત્ની ભૂમિસાઈ ઉર્ફે અંજુબેન ઇન્દ્રબહાદુર નેપાળી પોતાના ઘરે એકલી હતી, જે દરમિયાન કોઈ અજ્ઞાત શખ્સોએ આવીને કોઈ ધારદાર હથિયાર તેમજ બોથડ પદાર્થના ઘા ઝીંકી દઇ નિર્મમ હત્યા નિપજાવી હતી.
મૃતક નેપાળી મહિલા ગર્ભવતી હતી અને તેણીને 8 માસનો ગર્ભ હતો. જેનો પતિ ઇન્દ્રબહાદુર દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક કારખાનામાં મજૂરી કામે જાય છે. જે સાંજે છૂટીને ઘેર પરત ફરતાં પોતાની પત્નીનો મૃતદેહ જોવા મળતા જ હૈયાફાટ રુદન કરતો હતો. આ સમગ્ર મામલો પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, અને હત્યારાઓનું પગેરુ મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવી તેમાંથી એક શકમંદ જતો હોય તેવું સામે આવ્યું છે. જેથી પોલીસે આ ફૂટેજ મેળવી વિવિધ દિશામાં તપાસ આરંભી છે.
નવા બંધાઈ રહેલા ગોદામની અંદર જ્યાં હત્યાની ઘટના બની તે બનાવેલા નેપાળી પરિવારના મકાનમાં કબાટ અને તેનો માલ સામાન પણ વેરવિખેર થયેલ જોવા મળ્યો હતો. જેથી પ્રાથમિક તબક્કે કોઇ તસ્કરો ચોરીના ઈરાદે આવ્યા હોય અને નેપાળી મહિલાની ધારદાર હથિયાર અથવા તો બોથડ પદાર્થના હાથમાં અને માથામાં ઘા જીકીને નિર્મમ હત્યા નીપજાવી ભાગી છૂટ્યા હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું છે.
આ સમગ્ર ઘટના ક્રમ પૂર્વે નેપાળી યુવાન ઇન્દ્રબહાદુરે રવિવારે બપોરે દોઢ વાગ્યે પોતાના પત્ની સાથે મોબાઈલ ફોનમાં વાતચીત પણ કરી હતી. અને ત્યાર પછી બપોરથી સાંજ સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજ્ઞાત શખ્સોએ આવીને આ હત્યા નિપજાવી હોવાનું પોલીસ સમક્ષ જણાવાયું હતું.જેથી પોલીસ દ્વારા હત્યાના આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે. પોલીસે ઈન્દ્રકુમાર નેપાળીની ફરિયાદના આધારે તેની સગર્ભા પત્નીની હત્યા નિપજાવવા અંગે અજ્ઞાત શખ્સો સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.