કિંજલ કારસરીયા, જામનગર: આ વર્ષે મેઘરાજા જરૂર કરતા વધારે વરસી ગયા છે. તેમાં પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ કારણે જમીનનું ધોવાણ તો થયું જ હતું પરંતુ પાક પણ બળી ગયો હતો. તો મગફળીના પાકને જરૂર કરતા વધારે વરસાદ પડી જતાં ખેડૂતોને ઉતારો મળ્યો ન હતો. આ કારણે અનેક ખેડૂતોએ પોતાનો ઊભો પાક સળગાવી દીધો છે. તાજેતરનો આવો મામલો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલ સરકાર દ્વારા મગફળીમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. પરંતુ આ ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કાલાવડના કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં જ લગાવવામાં આવ્યા હતા. કાલાવાડ ખાતેના માર્કેટ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ગેરરીતિ થઈ રહી છે, તેવા આક્ષેપ સાથે ધારાસભ્ય પ્રવીણ મૂછડિયાએ કહ્યુ હતું કે, "સરકારે છૂટ આપી હોવા છતાં પણ નાફેડના કર્મચારીઓ અને મજૂરો તરફથી ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યાં છે."
આ વિવાદ ચાલી જ રહ્યો છે ત્યારે હવે કાલાવડના જ બાંગા ગામ ખાતે એક ખેડૂતે પોતાના જ ખેતરમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં સળગાવી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક જગ્યાએ ખેડૂતોએ ફરીથી વાવણી કરવાની ફરજ પડી હતી. જે બાદમાં પાક તૈયાર થઈ ગયો ત્યારે પણ પૂર જેવી સ્થિતિ સર્જાતા થતાં પાક બળી ગયો હતો.