કિંજલ કારસરીયા, જામનગર : જામનગર જિલ્લાના (Jamnagar news) જામજોધપુર તાલુકાના (Jamjodhpur) સડોદર ગામમાં પતિએ પોતાની પત્ની અને બાળકને પેટ્રોલ છાંટી સળગાવી (husband try to killed wife and kid) નાખવાનો પ્રયાસ કરતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. નવરાત્રી (Navratri 2021) જેવા તહેવાર દરમિયાન પોતાની પત્ની અને બાળકને જીવતા જલાવી દેવાનો પ્રયાસ કરનાર પતિ સામે ચોતરફથી ફિટકારની લાગણી વરસી રહી છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, જામજોધપુર પંથકના સડોદર ગામેં રહેતા અને ખેત મજૂરી કામ કરતી મૂળ દાહોદના વતની ભાવનાબેન નરેશભાઈ મારવાડી નામની 30 વર્ષીય પરિણીત મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના 8 માસના પુત્ર રણજિત ઉપર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગાવી દેવાનો પ્રયાસ કરવા અંગે પોતાના જ પતિ નરેશ કનુભાઈ મારવાડી સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.
ભાવનાબેન ગઈકાલે સાંજે પોતાના ઝૂંપડામાં હતી, અને 8 માસનો પુત્ર રણજિત રડતો હોવાથી પતિ ઝૂંપડામાં આવ્યો હતો, અને 'તને સંતાન સાચવતા આવડતું નથી' તેમ કહી ઝઘડો કરી હતી. ત્યાર પછી ભાવનાબેન અને પુત્ર પર પેટ્રોલ છાંટી ઝૂંપડામાં પણ પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, અને પોતે ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવમાં ભાવનાબેન અને પુત્ર રણજિત શરીરે દાઝી ગયા હોવાથી તેઓને તાત્કાલીક અસરથી જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાં શેઠવડાળા પોલીસ સ્ટેશનની ટુકડી ઘટનાસ્થળે તેમજ જામનગરની જી.જી હોસ્પિટલે દોડી ગઈ હતી. અને ભાવનાબેનનું નિવેદન નોંધ્યા પછી તેની ફરિયાદના આધારે પતિ નરેશ કનુભાઈ મારવાડી સામે હત્યાના પ્રયાસ અંગેની કલમ 307 તેમજ 504 મુજબ ગુનો નોંધ્યો છે. અને ભાગી છૂટેલા નરાધમ પતિને પોલીસ શોધી રહી છે. નવરાત્રી ના તહેવાર દરમિયાન આ બનાવ બન્યો હોવાથી જામજોધપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ છે.