કિંજલ કારસરીયા, જામનગર: Save soil અભિયાનના પ્રણેતા સદ્ગુરુ જગ્ગી વાસુદેવ (Sadhguru Jaggi Vasudev) રવિવારે પોતાનો 27 દેશો અને 30 હજાર કિ.મી.નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર (Bedi Port) ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા. અહીં શહેરના નગરજનો તરફથી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈક રેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ (Pratap Vilas Palace, Jamnagar) આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતુ કે, "દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે ધરા પર આવી આજે હું મને ભાગ્યશાળી માનું છું."
આ પ્રસંગે Save Soil એટલે કે 'ભૂમિ બચાવો' અભિયાન વિશે જણાવતા કહ્યુ કે, "તેમનું સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના ચાર અબજ લોકો સુધી પહોંચી, આ અભિયાનમાં જોડવાનો છે. હવે સમય છે કે આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કામ કરીએ. આજે દુનિયામાં 27,000 જેટલી પ્રજાતિઓ પર જોખમ ઊભું થયું છે અને તેઓ ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે. આપણે તેમના માટે કશું કરતા નથી. દુનિયામાં જૈવ વૈવિધ્ય અને વાતાવરણમાં ગંભીર નુકસાન થયું છે. જો આપણે અત્યારે જાગૃત નહી બનીએ કે સંગઠિત નહીં બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહી. દુનિયામાં આજે 40% ફળોનું ઉત્પાદન ઘટ્યું છે સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસેને દિવસે ગુમાવી રહી છે."
ગાય સહિતના પ્રાણીઓને બચાવવા જરૂરી : દુનિયામાં વૃક્ષો, છોડ અને પ્રાણીઓથી આપણું જીવન ટકી શકશે. લોકો અત્યારે વધુને વધુ ખાતર નાંખીને જમીનમાંથી ઉપજ મેળવે છે. જો ઓછું ખાતર નાખીશું તો પણ ઉપજ નહિ મળે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. પરંતુ બહુ સામાન્ય સમજણની વાત છે. આજે ગંગાના મેદાનોમાં 92% વૃક્ષો સાફ કરી નાખ્યા છે. પ્રાણીઓ કતલખાનામાં જાય છે. પ્રાણીઓ વિના આપણું જીવન જ શક્ય નથી. તેથી આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ગાય સહિતના પ્રાણીઓને પણ બચાવવી એટલા જ જરૂરી છે.
રંગારંગ કાર્યક્રમો : કાર્યક્રમમાં જામનાગરની વિવિધ ધાર્મિક સંસ્થાઓમાંથી ઉપસ્થિત રહેલ સંતો-મહંતો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વડા 100 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના દેવપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રભુજ સ્વામી, સાંસદ પૂનમબેન માડમ, વિક્રમભાઈ માડમ, રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહજી જાડેજા, વાંકાનેર સ્ટેટના કેશરીદેવસિંહજી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા સામાજિક આગેવાનો તથા શહેરના પ્રબુદ્ધ નાગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.