કિંજલ કારસરીયા, જામનગર : જિલ્લામાં કેબિનેટ કૃષિ મંત્રી (Cabinet Minister of Agriculture) રાઘવજી પટેલ (Raghavji Patel ox-cart)જન આશીર્વાદ યાત્રા (Jan-Ashirwad Yatra)એ નીકળ્યા હતા.ત્યારે જામનગર (Jamnagar)ના આમરા ગામે બળદ ગાડામાં સવાર થયા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલ (Cabinet Minister of Agriculture Raghavji Patel) જામનગરના જોડિયાના ભાદરા થી શરૂ કરેલી 20 ગામોની યાત્રા રાત સુધી ચાલી હતી. અને સિક્કા ખાતે સંપન્ન થઈ હતી. ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ સ્થળો પર જન આશીર્વાદ યાત્રાનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ નગારા તથા ફુલ હાર વડે ગામે ગામ લોકોએ મંત્રીને ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો.
મંત્રી રાઘવજી પટેલે ભાદરાના સ્વામિનારાયણ મંદિર, કુંડળીયા હનુમાન મંદિર, ખીરી હનુમાનજી મંદિર, ઇશરધામ, શેખપાટ મંદિર, જલારામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પૂજન-અર્ચન કરી સંતોના આશીર્વાદ લીધા હતા તેમજ ભાદરા બાદનપર, કુનડ, લીંબુડા, હડીયાણા, ખીરી, જાંબુડા, શેખાપાટ, ખીજડીયા, ખીમરાણા, ધુવાંવ, નાઘેડી, રાવલસર, સરમત, લાખાબાવળ, વસઈ, આમરા, બેડ, મોટીખાવડી, નાનીખાવડી, સિક્કા, હાપા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. કૃષિમંત્રીએ સંતો મહંતો, ગૌ માતા, ગ્રામ માતાઓ તથા જન સમુદાયના આશીર્વાદ લઇ જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુમાં વધુ લોક કલ્યાણના કાર્યો પૂર્ણ થાય તેમજ જામનગર જિલ્લો તથા ગુજરાત રાજ્ય વધુમાં વધુ વિકાસ કરી અપાર પ્રગતિ કરે તે પ્રકારના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. લોકોના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અમારું ગાંધીનગરનું નિવાસ હંમેશા ખુલ્લું રહેશે.
હાપામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ જન આશીર્વાદ યાત્રા સાથે પહોંચ્યા હતા ત્યારે હજારો ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડ ના વેપારી અગ્રણીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યાં વિશાળ જનસભાને કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે સંબોધન કર્યું હતું અને હર હંમેશ લોકોની સાથે રહીને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને વધતી રહેશે તેમાં લોકોના અવિરત આશીર્વાદ મળતા રહે તે માટે અપીલ કરતા જણાવ્યું હતું કે તમામ લોકોના યથાયોગ્ય ગામને સંપૂર્ણ ન્યાય આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની વડપણ હેઠળની અમારી સરકાર કટિબદ્ધ છે. આ ખેડૂત સંમેલન દરમિયાન સાંસદ પૂનમબેન માડમ એ પણ કહ્યું હતું કે, હવે ગાંધીનગરમાં રાઘવજીભાઇ ને કેબિનેટ મંત્રી બનતા તેમનું નિવાસસ્થાન જામનગર હાઉસ બની રહેશે. દરેક લોકોના રાતદિવસ પ્રશ્ન સાંભળતા રાઘવજીભાઈ ખરા અર્થમાં જમીનની નેતા છે અને એટલે જ લોકો તેને વધાવવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે ચરિતાર્થ પણ થઈ રહ્યું છે.
જન આશીર્વાદ યાત્રા દરમિયાન હાપા ના જલારામ મંદિરે ખાસ રાઘવજીભાઈ પટેલ પહોંચ્યા હતા અને ત્યાં ગૌ પૂજન પણ કર્યું હતું. બાદમાં જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા અને તેના ગુરુ ભોજલરામ બાપાના દર્શન કરી હાપા ખાતે ચાલી રહેલા અન્નક્ષેત્રમાં ટ્રસ્ટીઓને મળી તેઓના સેવા કાર્યને પણ બિરદાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ સરકાર સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને અનુસરી રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે ત્યારે આગામી સમયમાં ફરી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના 182 સીટો સાથે ભાજપને બહુમતિ મળે તે સંકલ્પને પરિપુર્ણ કરવા આજે સમગ્ર રાજ્યમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.