કિશોર તુવર, બનાસકાંઠા: ઉત્તરાયણમાં ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું છે ત્યારે રાજ્યનું આ એક ગામ એવું છે કે જ્યાં પતંગ ચગાવવામાં આવતા નથી, તેની પાછળનું કારણ એ છે કે અહીં પતંગ ચગાવવા પર પ્રતિંબધ લાદવામાં આવ્યો છે. બનાસકાંઠાનું ફતેપુરા ગામ કે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. જો ગામમાં વર્ષો પહેલા બનાવેલા નિયમની વિરુદ્ધમાં જઈને કોઈ પતંગ ચગાવે તો દંડ પણ ફટકારવામાં આવે છે. આ ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું તે પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.
બનાસકાંઠાના ધાનેરામાં આવેલા ફતેપુર ગામમાં જો કોઈની ઈચ્છા હોય તો પણ તે વ્યક્તિ અહીં પતંગ ચગાવી શકતી નથી. આ ગામના વડીલો દ્વારા 1991માં આ નિયમ કરવામાં આવ્યો હતો, જો કોઈ નિયમની વિરુદ્ધમાં જઈને ગામમાં પતંગ ચગાવવાની કોશિશ કરે તો દંડ ફટકારવામાં આવે છે. જે દંડની રકમ રૂપિયા 11 હજાર રાખવામાં આવી છે અને તેની સાથે 5 બોરીનું ધર્માદુ પણ કરવું પડે છે.
ફતેપુર ગામના આગેવાન શંકરભાઇ પટેલ જણાવે છે કે, "આ ગામના ઘરોના ધાબા પર કઠેડા નથી, મકાન પાસેથી વીજળીના તાર પસાર થાય છે, આવામાં બીજા ગામોમાં સાંભળેલું છે કે કોઈ છોકરા પતંગ ચઢાવવા જાય તો ધાબા પરથી પડી ગયા હોય, કોઈ કૂવામાં પડ્યા હોય, કોઈને કરંટ લાગ્યો હોય જેથી ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. પતંગની દોરીના કારણે બાઈક પર જનારાઓને ગળા કપાય, પક્ષીઓઓ મરી જાય તેના કારણે વડીલોએ લગભગ 1991થી નિયમ કરેલો કે પતંગ ચગાવવો નહીં. જે પછી આ ગામની પરંપરા બની ગઈ છે અને તેનું પાલન કરીએ છીએ."
ગામના યુવક ડાયાભાઈ ચૌધરી જણાવે છે કે, ગામમાં પતંગ ચગાવવા પર પ્રતંબધ છે અને એ કારણથી ગામમાં લોકો પતંગ ચગાવતા નથી અને દિવસ દરમિયાન છોકરા ક્રિકેટ રમે છે અને ગામના લોકો પોતાનો દિવસ ગાયને ચાર ખવડાવવા સહિતના પુણ્યના કામો કરે છે. પતંગના કારણે નુકસાન થતું હતું તેને અટકાવવા માટે આ નિયમ લેવામાં આવ્યો છે.
પ્રતિબંધના કારણે ગામની પાસેથી પસાર થનારા લોકોને પણ આંચકો લાગે છે, કારણ કે અહીં ઉત્તરાયણના તહેવાર પર આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા નથી. ગામના લોકો પણ પતંગ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સાથ આપે છે. પશુ-પક્ષીઓને તથા માણસોને પતંગની દોરીથી નુકસાન ના થાય તેનું પણ આ ગામમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
બીજી તરફ રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે શહેરોમાં કોઈ બનાવ બને તો કાર્યવાહી થઈ શકે તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સિવાય હોસ્પિટલનો સ્ટાફ પણ ખડેપગે છે કે જેથી કરીને કોઈ ઈમર્જન્સી કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય. જીવદયામાં માનનારી સંસ્થાઓ અને લોકો દ્વારા પણ સામાજિક કામગીરી કરવામાં આવી રહી છે.