

દિપક પટેલ નર્મદા : ભારતીય રેલવેનું દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક કેવડિયામાં નિર્માણના અંતિમ તબક્કામાં છે. લોકોમાં રાષ્ટ્ર ભાવના જાગે એ માટે કેવડિયા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ જેવા ઉત્તરશે કે તરત 100 ફૂટ ઊંચો રાષ્ટ્ર ધ્વજના એમને દર્શન થશે. સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની 20 ફૂટ ઊંચી એક રેપ્લિકા પણ મુકાઈ છે.


આગામી 17 મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ 24 મહિના બાદ સાકાર થવા થશે. તેમના હસ્તે દિલ્હીમાં સવારે 11.20 કલાકે દેશના વિભિન્ન ભાગમાંથી કેવડિયા SOU ખાતે એકસાથે 8 ટ્રેનોને ગ્રીન સિગ્નલ આપી ઇ-પ્રસ્થાન કરાવાશે. કેવડિયા ખાતે આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. 17 મી એ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલ્વે મંત્રી પીયુષ ગોયલ કેવડિયા ખાતે હાજર રહેશે.


રેલવે બોર્ડના ચેરમેન સુનિત શર્મા પ્રતાપનગરથી કેવડિયા સુધીની રેલ્વે લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. એમણે રેલ્વે ટ્રેક, વાયરિંગ અને સિગ્નલને લગતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વચ્ચે આવતા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે બોર્ડના ચેરમેન સુનિત શર્માએ જણાવ્યું હતું કે કેવડિયા રેલવે સ્ટેશન માટે જ્યારે જમીન સંપાદન થયું એના 6 મહિનામાં જ એનું નિર્માણ થયું છે. આ રેલવે લાઈનથી આદીવાસી વિસ્તારનો વિકાસ થશે. 17 મી જાન્યુઆરીએ ચેન્નાઈ, રેવા, બનારસ, દાદર, નિઝામુદ્દીન, અમદાવાદ અને 2 મેમુ ટ્રેન મળી દેશ ભરમાંથી કુલ 8 ટ્રેનનું એક સાથે કેવડિયા માટે ફ્લેગ ઓફ થશે. જ્યારે 17 મી એ કેવડિયા રેલવે સ્ટેશનથી એક મેમુ ટ્રેન રવાના થશે. સાથે સાથે તે દિવસે ડભોઈ, ચાંદોદ, કેવડિયા રેલવે સ્ટેશનનું અનાવરણ પણ થશે. સામાન્ય માણસને પોષાય અને વધુ પ્રવાસીઓ આકર્ષાય એવા ટિકિટ દર રાખવામાં આવશે.


જ્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું કે આખા દેશને કેવડિયા સાથે જોડાયું છે. હાલ ટ્રેનની ગતિ 110 કિમી પ્રતિ કલાકની હશે. આ પછી ટ્રેક, રેલ્વે સ્ટેશન અને અન્ય લાઈનોનું ઇન્સ્પેકશન થશે એ બાદ 110 કિમી પ્રતિ કલાકની ઝડપની પરમિશન તુરંત મળી જશે. જ્યારે આગામી 6 મહિનામાં સ્પીડ વધારી 130 કિમી પ્રતિ કલાક કરાશે. કેવડીયામાં ભારતીય રેલવેનું પ્રથમ ગ્રીન સ્ટેશન બની રહ્યું છે. ઉર્જા બચાવવા માટે રેલવે સ્ટેશન બનાવવા માટે તમામ મટીરીયલ ઉર્જાની ખપત પુરી પાડશે. કેવડિયા રેલવે સ્ટેશનને સરદાર પટેલ સાથે જોડાયું છે.