સુરત: આજે દક્ષિણ ગજરાતમાં (rainfall in South Gujarat) ધોધમાર મેઘ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારે 6થી 10 કલાકમાં ડાંગના (rain in Dang) વઘઇમાં 6.4 ઇચ ખાબક્યો છે. આ સાથે ડાંગના આહવામાં 4.48 ઇંચ વરસાદ વરસ્યો છે. આપને જણાવીએ કે, રાજ્યમાં સવારે ચાર કલાકમાં 62 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સવારે 6થી 10ના વરસાદના આંકડાની વાત કરીએ તો, ડાંગનાં વઘઇમાં 160 એમએમ, આહવામાં 112 એમએમ, નર્મદાના સાગબારામાં 103 એમએમ, તાપી ડોલવણમાં 100 એમએમ, બોડેલીમાં 94 એમએમ, નવસારીનાં વાસંદામાં 88 એમએમ, ડેડિયાપાડામાં 83 એમએમ, ડાંગના સુબિરમાં 66 એમએમ વરસાદ વરસ્યો છે. ઉમરપાડા, અબડાસા અને કવાંટમાં 40 એમએમ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે ચાર કલાકમાં ગુજરાતનાં 62 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેવા માંડી છે. નદીઓના જળસ્તરમાં સતત વધારેને કારણે તંત્રની ચિંતા વધી છે. જો સાંજ સુધી વરસાદની આજ સ્થિતિ રહેશે તો નવસારી જીલ્લાના ચીખલી અને ગણદેવી તાલુકામાં માટે ચિંતાનો વિષય છે. જેને લઇ તંત્ર દ્વારા પણ ચીખલી અને ગણદેવી તાલુકાના અંદાજે 24થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે જ લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે.
વલસાડમાં પણ બારે મેઘ ખાંઘા જેવી સ્થિતિ થઇ ગઇ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને વલસાડના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં છે. વલસાડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં વલસાડ કલેક્ટર તથા ડીડીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વલસાડમાં આવેલી પૂર જેવી સ્થિતિનું સતત મોનિટરિંગ સાથે વલસાડ કલેક્ટરે જણાવ્યું હતું કે, વલસાડ નગરપાલિકાની ટીમ અને મામલતદારની ટીમ નીચાણવાળા વિસ્તારોને મોનિટર કરી રહ્યા છે. લોકોને સ્થળાંતર કરવાની તમામ કાર્યવાહી કરી રહ્યા છે. આ સાથે નજીકમાં સેન્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં જમવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી જામેલી વરસાદની હેલીને કારણે જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે. ધરમપુરની માન નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ધરમપુરના નાની ઢોલડુંગરી અને બામટી વચ્ચેથી પસાર થતી માન નદીના પાણીએ કિનારો વટાવતા માન નદીના પાણી પુલ પર ફરી વળ્યા છે. આથી અનેક ગામનો સંપર્ક કપાયો છે. નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ અટવાઈ ગયા છે.
ધરમપુર તાલુકામાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. આથી તાલુકાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે માન નદીના પૂર પર પુલ પર પાણી ફરી વળતા બંને બાજુના ગામોનો સંપર્ક કપાયો છે. આમ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
હવામાન ખાતની આગાહી પ્રમાણે, 10 જુલાઈએ નવસારી તથા વલસાડમાં 8-8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં 4થી 8 ઈંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં 4થી લઈ 8 ઈંચ વરસાદ વરસી શકે છે. 12 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં 4થી લઈને 8 ઈંચ સુધી વરસાદની સંભાવના છે.