કેતન પટેલ, મહેસાણા : આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ. પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ ખાસડા મારવામાં આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધતરીકે ઓળખે છે. કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે.
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે 150 વર્ષથી ખાસડા યુદ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જોકે હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણ, કંસારા, વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. બંને જૂથો સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.
કહેવાય છે કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિતનાં શાકભાજીએ લીધું છે. ધૂળેટીના દિવસે 150 વર્ષથી વિસનગરવાસીઓએ હજુ પણ આ પરંપરાને સાચવી રાખી છે. જોકે હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે.
આમ તો કોઇને શાકભાજી કે ખાસડુ મારવામાં આવે તો ઝઘડો થઇ જાય. પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઇપણને શાકભાજી કે ખાસડુ મારવાની છૂટ છે. લોકે હોશે હોશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે. કારણ કે, જુત્તું ખાવાથી પણ વર્ષ સારું જાય છે. આ પણ એક અનોખી પરંપરા છે કોરોના મહમારી વચ્ચે પણ વિસનગરમાં પરંપરાગત રીતે ખાસડા યુદ્ધ યોજાયું હતું. જોકે કોવિડ ગાઈડલાઈનનું પાલન ના થતા પોલીસ ત્યાં પહોંચી હતી અને ટોળા વિખેર્યા હતા પોલીસ આવી જતા લોકોના રંગમાં ભંગ પડ્યો હતો.