ઈશાન પરમાર,સાબરકાંઠા: કહેવત છે ને કે, મન હોય તો માંડવે જવાય અને મક્કમ મન કરીને નિકળીએ તો ગમે તેવુ કાર્ય હોય એ પુર્ણ થાય. એવો જ એક હિંમતવાન યુવાન છે હિંમતનગરનો કે જેણે ૧૮૩૨ કિલોમીટરની રાઈડ માત્ર ૧૬ દિવસમાં પુર્ણ કરી છે. હિંમતનગરનો જય પંચાલ પહેલા ૧ કિમી સાઈકલીંગ કે દોડમાં પણ થાકી જતો હતો પરંતુ તેને માત્ર 16 દિવસમાં ૧૮૩૨ કિમીની સાઈકલ રાઈડ પૂર્ણ કરીને ગુજરાતનો ફાસ્ટેસ્ટ રાઈડર બન્યો છે.
જય ૧૦માં ધોરણમાં ભણતો હતો ત્યારે તેમના શિક્ષક કિંજલ બેને સાઈકલ ચલાવતો જોઈને સાઈકલ ભેટમાં આપી હતી. પછી ધીરે ધીરે જય પંચાલ મહેનત કરતો રહ્યો અને હિંમતનગર ખાતે સાઈકલ ક્લબ જોઈન કર્યુ. સાઈકલ ક્લબમાં ૨ વર્ષ રહ્યો અને પછી ધીરે ધીરે પોતાની ક્ષિતિજો સર કરવા લાગ્યો. આમ તો જય પંચાલની આર્થીક સ્થિતિ નબડી છે. તેના પિતા ભાડાની દુકાનમાં વેલ્ડીંગ કામ કરે છે અને જય ભણતર સાથે સાઈકલીંગ અને ગામે ગામ ફરીને કપડાની ફેરી કરે છે.
હિંમતનગરથી ખારદુગાલ લેહ લદાખની સાઈકલ રાઈડીંગમાં ભાગ લીધો અને પ્રથમ ફાસ્ટર રાઈડર બન્યો છે. જય પંચાલ મેહુલ જોષી પાસે સાઈકલીંગ શીખી રહ્યો હતો. મેહુલ જોષી, ગુજરાતનો પ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર છે અને તેઓ સાઈકલ ક્લબ ચલાવે છે. જય બે વર્ષ સુધી તેમની સાથે રહીને તાલીમ લઈ મક્કમ મને આગળ વધ્યો પરંતુ ૧૮૩૨ કિમીનુ અંતર કાપવા જય પાસે જે સાઈકલ હતી તે ચાલી શકે તેમ ન હતી તો આર્થીક મદદની જરૂર હતી અને ત્યારે જ ફાસ્ટર સાઈકલ કંપનીએ સાયકલ સ્પોન્સર કરી અને અન્ય ખર્ચ પણ આપ્યો અને પછી તો જય નિકળી પડ્યો મંજીલને પહોંચવા માટે.
જયના ટ્રેનર, મેહુલ જોષીના જણાવ્યા પ્રમાણે, હિમતનગરના કાંકરોલથી સવારે ૬ વાગ્યે ખારદુગાલ લેહ લદાખ માટે સાઈકલીંગ શરૂ કરી અને ૧૬માં જ દિવસે પહોચી ગયો. એટલે જ જય ગુજરાતનો ફાસ્ટર રાઈડર બન્યો છે અને ધ ફાસ્ટર સાઈકલ કંપની દ્રારા જય પંચાલને નોકરી આપવાનુ અને જય પંચાલના નામની નવી સાઈકલ પણ બનાવવાનુ જણાવ્યુ છે. જે એક પરિવાર માટેની ગૌરવ ની વાત છે.