આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં પણ હવે ખેડૂતો ખેતીમાં આધુનિકીકરણ કરી રહ્યા છે. જેમાં ડીસાના એક પ્રગતિશીલ ખેડૂતે ડ્રોનની મદદથી શાકભાજીના પાક પર દવા છાંટવાનું શરૂ કર્યું છે. જેનાથી તેઓને મજૂરી ખર્ચની સાથે સાથે સમય અને પાણીનો પણ બચાવ થાય છે. બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય તે ખેતી છે અને મોટી સંખ્યામાં લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી હોવાના લીધે ખેતીમાં પાણીનો ઉપયોગ પર કરકસરથી કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોને સહુથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરીની છે. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જતી હોવાના લીધે ખેડૂતોને મોટું શારીરિક નુકશાન થાય છે. ખેતરમાં દવાનો છંટકાવની કામગીરીથી ખેડૂતો પરેશાન થઈ ઉઠતાં હોય છે. ખેતીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી ખૂબ જ પડકારજનક છે ત્યારે ડીસાના તાલુકાના રાણપુર ગામના કનવરજી ઠાકોર નામના પ્રગતિશીલ ખેડૂતે ખેડૂતો માટેની આ મુશ્કેલીનો હલ લાવવાનો પ્રયાસ કર્યો છે. જે રીતે ડ્રોનની મદદથી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી થઈ શકતી હોય તો ખેતી કેમ ના થઈ શકે તે વિચારને પગલે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો વિચાર લાવ્યો હતો. ત્યારે આ ખેડૂત તેના ખેતરમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી રહ્યા છે.
કનવરજી ઠાકોરે જણાવ્યું હતું કે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાનો છંટકાવ ખૂબ જ સારી રીતે થાય છે અને તેમાં પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાની હાનિકારક અસરથી ખેડૂતને રક્ષણ મળે છે. પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોરનું માનવું છે કે ડ્રોનથી દવાનો છંટકાવ કરવાથી સમય, પાણી અને ખર્ચનો બચાવ થાય છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે રીતે આધુનિકતાના રંગે રંગાઈને ખેતીમાં અવનવી ક્રાંતિ સર્જી રહ્યા છે તે ખરેખર આશ્ચર્યચકિત કરી નાંખે તેમ છે. ત્યારે ડીસા તાલુકાનાં રાણપુર ગામના આ ખેડૂત દ્વારા કરવામાં આવેલા આધુનિક પ્રયાસને નિહાળવા માટે આજે ડીસાના ધારાસભ્ય પણ પહોંચી ગયા હતા. તેમનું માનવું છે કે હવે જિલ્લાના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે જેથી ખેડૂતોની આવક પણ બમણી થશે.