મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી: યાત્રાધામ અંબાજી (Ambaji Temple) ગુજરાતનું જ નહીં પણ ભારતભરનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે. જેને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. જોકે, કોરોના મહામારીને લઇ અંબાજી મંદિર બંધ પણ કરવામાં આવ્યું હતું અને કેટલાક અંશે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા ફરીથી અંબાજી મંદિર સરકારની SOP પ્રમાણે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. જેને લઇ અનેક શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે પહોંચી દર્શનનો લાભ લઇ રહ્યા છે. દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયા બાદ માતાજીના દર્શનનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. પરંતુ તેવામાં અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહી જતા હતા. જેથી હવે ભક્તોને દર્શન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું નહીં પડે.
જેથી બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લઈ શ્રદ્ધાળુઓને ઓનલાઇન રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે. યાત્રિકો હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે. પણ તેવા શ્રદ્ધાળુઓએ રસીના બે ડોઝ ફરજીયાત લીધેલા હોવા જોઈએ અને માસ્ક પણ ફરજીયાત પહેરવું પડશે અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લેવાનો રહેશે.
એટલુંજ નહીં, હવે મંદિરના નૃત્ય મંડપમાં બેસી માઇભક્તો માતાજીના ગુણગાન કરી શકે અને સંસ્કૃતિના જતન તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે ગ્રામ્ય કક્ષાએ ધાર્મિક ભજન મંડળીઓ ભજન સાથે કીર્તન કરી ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરી શકે તેવા ભાવથી મંદિર ચોકમાં રોજની બે ભજન મંડળીઓને પરવાનગી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
તેમજ આ ભજનની એક નવી પહેલને જિલ્લા કલેકટર તેમજ મંદિર ટ્રસ્ટના વહીવટદારે દીપ પ્રગટાવીને આ નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. એટલુંજ નહીં ભજન મંડળીઓને જમવા સાથેની સુવિધા વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. ભજન મંડળીઓ મંદિરમાં ભજન કરવા માંગતા હોય તેવો પોતાનું બુકીંગ ઓનલાઇન કરાવી શકે તે માટેની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવાંમાં આવશે.