મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: આદ્યશકિત આરાઘનાના પર્વ નવરાત્રિના (Navratri 2021) નવમા એટલેકે છેલ્લા નોરતે સુપ્રસિદ્ઘ યાત્રાધામ (Garba at Ambaji Temlpe) અંબાજી મંદિરના (Ambaji temple Garba) ચાચર ચોકમાં ફરી એકવાર ગરબાની ભારે રમઝટ જોવા મળી છે. રાજ્યભરમાં ગત વર્ષે ગરબા મુલત્વી રહ્યા હતા અને ચાલુ વર્ષે પણ મોટા પાર્ટીપ્લોટોમાં અને મોટા મંદિરોમાં ગગરબા બંધ રાખવામાં આવ્યા હતા. આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શેરી અને સોસાયટીઓમાં સરકારની એસઓપી પ્રમાણે મંજુરી અપાઈ હતી. સાથે રાજ્ય સરકારના નવતર અભિગમ પ્રમાણે મોટા શક્તિપીઠોમાં નવરાત્રી મહોત્સવની સાથે મહાઆરતીનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેને લઈ ગત રાત્રીએ નવમા અને છેલ્લે નોરતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ખેલૈયાઓ દ્રારા ગરબાની રમઝટ બોલાવી હતી.
રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગુજરાત યાત્રાધામ અને પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ દિપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ રાજ્યના નાગરિકોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, મા અંબાની કૃપાથી આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા આપણું રાજ્ય ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું.
તેમણે જણાવ્યું કે, નવરાત્રિના આનંદ-ઉલ્લાસના આ પર્વની જેમ આપણા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે તેવી માતાજીને પ્રાર્થના કરીએ. તેમણે કહ્યું કે, શકિત, ભક્તિના આ પાવન પર્વે માતાજી આપણને સૌને શકિત આપે તથા ગુજરાતની ઇચ્છા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ માતાજી પુર્ણ કરે તેવી માતાજીને પ્રાર્થના કરીએ.
ગરબાના અંતે માતાજીના ચાચર ચોકમાં મહાઆરતી પણ કરવામાંઆવી હતી. જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, ગુજરાત પ્રવાસન નિગમના એમ.ડી જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહણ વહીવટદાર એસ.જે.ચાવડા પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા સહિત પ્રવાસન વિભાગના અધિકારી અને સારી સંખ્યામા માઈભક્તો જોડાયા હતાં.