મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી : શક્તિપીઠ અંબાજીમાં (Ambaji) દરવર્ષે ભાદરવી પુનમનો મહામેળો (Bhadarvi poonam) યોજાય છે. જે સાત દિવસના મેળામાં 20થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી માં અંબેના દર્શન કરે છે. આ સાથે નવરાત્રી દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. પણ આ ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગવાની પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે. અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો લગભગ 14 સપ્ટેમબરથી શરૂ થવા જઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે તેવું લાગી રહ્યું છે.
કોરોના મહામારીને લઈને 14 સપ્ટેમ્બરથી શરૂ થનારો મેળો શ્રદ્ધાળુઓની સુખાકારી અને સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ મુલતવી રહેવાની ભિતી છે. એટલુંજ નહીં, કદાચ મંદિર પણ બંધ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે યાત્રિકો તે પૂર્વે માં અંબેના દર્શન કરી લેવાને મંદિરના શિખરે ધજા ચઢાવાનું વહેલું નક્કી કર્યું હોય તેમ હમણાં એક મહિના પહેલા જ યાત્રિકો ધજા લઈ અંબાજી પહોંચી રહ્યા છેને માર્ગોને મંદિર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગૂંજવા લાગ્યા છે.