સ્ટેચ્યૂ ઓફ યુનિટી- વડોદરા નજીક કેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની 182 મીટરની દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે. જેનાં નિર્માણની પાછળ આશરે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ગત 31મી ઓક્ટોબરે આ પ્રતિમાનું અનાવરણ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ખુલ્લું મુક્યાનાં થોડા જ દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સ્મારક જોવાનો સમય સવારે 9.00 થી 5.00 કલાકનો રાખવામાં આવ્યો છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ www.soutickets.in પર કરી શકો છો. તમને જણાવી દઈએ કે, દર સોમવારે સ્મારક બંધ રહેશે.
ખાનગી શાળાની ફી- ખાનગી સ્કૂલોની ફીને અંકુશમાં લાવવા સરકારે લાગુ કરેલ ફી નિર્ધારણ કાયદા અંતર્ગત મોટી ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ અને ફાઈનલ ફી નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ આ મામલે કોકડું હજુ ગૂંચવાયેલુ જ છે. ફી નિયમન કાયદો લાગૂ થવા છતાં સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસેથી જૂની ફી લેવાનો આગ્રાહ રાખી રહ્યાં છે. આ બાબતે રાજ્ય સરકારનું વલણ વારંવાર બદલાયું હતું. એક સમયે શાળા સંચાલકોને જોઈ લેવાની ચીમકી ઉચ્ચારનાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાણે શાળાના સંચાલકો સામે સરેન્ડર કરી દીધું હોય તેવા ઘાટ પણ સર્જાયા છે. તો આવનાર વર્ષમાં સરકાર આ મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવી શકે તેવી આશા રાખી શકીએ.
દિવાળી બોનસમાં- કર્મચારીઓને બોનસ આપવા માટે જાણીતા સુરતમાં આવેલી હરીકૃષ્ણા ડાયમંડ કંપનીના માલિક સવજીભાઇ ધોળકિયા ફરીથી એક વખત ચર્ચામાં રહ્યાં હતા. તેમણે કંપનીના 600 જેટલા કર્મચારીઓને દિવાળીના બોનસ તરીકે કાર આપી હતી. કંપનીમાં કામ કરતા 1700 જેટલા કર્મચારીઓમાંથી 600 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કામ આપી હતી જ્યારે અન્ય 1100 જેટલા કર્મચારીઓને ફિક્સ ડિપોઝીટની ભેટ આપી હતી. કંપનીના 600 જેટલા કર્મચારીઓને રીનોલ્ટ ક્વિડ કાર તથા મારુતિ સુઝુકીની સેલેરિયો કાર ભેટમાં આપવામાં આવી હતી જેની ભારતમાં કિંમત અનુક્રમે 4.4 લાખ તથા 5.38 લાખ રૂપિયા છે.
ખેડૂતોના દેવા માટે હાર્દિકનાં ઉપવાસ- હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાં માફીની માગણી સાથે 18 દિવસનાં ઉપવાસ પર બેઠો હતો. જેમાં ઉપવાસના 13માં દિવસે હાર્દિક પટેલની તબિયત વધારે લથડી હતી. સતત ઉપવાસને કારણે હાર્દિકની તબિયત એટલી લથડી છે કે હવે તેને ચાલવામાં અને જાતે ઉભા થવામાં પણ તકલીફ પડી રહી છે. ત્યારે આવેલા એક આવેલા રિપોર્ટ પ્રમાણે હાર્દિકને ઉપવાસ છાવણીમાંથી વ્હીલચેર પર બેસાડીને બહાર લાવવામાં આવતો હતો. સતત ઉપવાસને કારણે 12 દિવસમાં જ હાર્દિક પટેલનું વજન 12 કિલોગ્રામ ઘટી ગયું હતુ.
એચએસઆરપી નંબર પ્લેટ- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તમામ વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાનો આદેશ કર્યો હતો. રાજ્યમાં 2.39 કરોડ કરતા પણ વધુ વાહનો નોંધાયા છે ત્યારે આ બધા જ વાહનોમાં ફેન્સી નંબર પ્લેટને બદલીને આવી જ નંબર પ્લેટ લગાડવાની ઝૂંબેશ ચાલી છે. નોંધનીય છે કે રાજ્ય સરકારે ફરજિયાત HSRP લગાવવાનો પરિપત્ર કર્યો હતો પરંતુ જાન્યુઆરી, 2013થી HSRPનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી સંખ્યાબંધ વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ જોવા મળી રહી છે. જોકે આ કાયદાને કારણે લોકોએ વાહનોમાં નંબર પ્લેટ બદલાવી છે.
સચિવાલયમાં દિપડો- એક રવિવારની મોડી રાત્રે ગાંધીનગરના અતિસુરક્ષિત ગણાતા સચિવાલય પરિસરના ગેટ નંબર 7ના બંધ ગેટ નીચેથી દિપડો ઘૂસી ગયો હતો. જે સીસીટીવી સર્વેલન્સ ટીમના ધ્યાન પર આવતાં તાત્કાલીક ઉચ્ચ અધિકારીઓ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી તથા ગણતરીની મિનીટોમાં જ તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દીપડો બધાની નજર ચુકવીને બહાર પણ જતો રહ્યો હતો. સવાર સુધીની જહેમત બાદ દીપડાનું લોકેશન રાજભવન નર્સરી-પોલીસ વન વચ્ચે મળી આવ્યું હતુ. આ સાથે જુનાગઢથી વન વિભાગની ટીમ પણ બોલાવાઇ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
સૌથી મોંઘા છૂટાછેડા- 26 વર્ષના દાંપત્ય જીવનના અંત સાથે ગુજરાતનો બીજો સૌથી મોંઘો અને મોટો છૂટાછેડાનો કેસ નોંધાયો છે. રૂપિયા 200 કરોડમાં કેડીલા ફાર્માસ્યુટિકલ્સના માલિક અને તેમની પત્ની મોનિકાના છૂટાછેડા થયા હતા. ફેમિલી કોર્ટે છૂટાછેડા માટેનો કુલીંગ પિરિયડ રદ કરીને સ્પેશિયલ મેરેજની કલમ 128 હેઠળ છૂટાછેડા મંજૂર કર્યા હતાં. મોનિકા અને રાજીવનો છૂટાછેડાના મામલો જ્યારે કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે દીકરાની કસ્ટડી પિતાને આપવામાં આવી હતી.
લોક રક્ષક દળ ભરતી પેપર લીક- 2જી ડિસેમ્બરે રાજ્યભરમાં યોજાનાર લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાની લાખો બેરોજગાર યુવાનોએ નોકરીની આશાએ તડામાર તૈયારીઓ કરી નોકરીના સ્વપ્ન જોયા હતા. જેનું પ્રશ્નપત્ર લીક થયું હતું. જેમાં ભાજપનાં બે નેતાઓનાં નામ પણ સામે આવ્યાં હતાં. તંત્રને પરીક્ષા મોકુફ રાખવાની ફરજ પડી હતી. જેના લીધે લાખો ઉમેદવારોને રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. જેને પગલે રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડતા હરકતમાં આવેલી સરકારે પેપર લીક પ્રકરણની તપાસ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં પહેલા પાંચ આરોપી સામે ગુનો નોંધ્યો હતો અને અત્યાર સુધીમાં આ મામલામાં 13 લોકોની અટકાયત થઇ હતી.
જસદણ પેટા ચૂંટણી- આ વખતે રાજકરણની વાત કરીએ તો જસદણનો ગરમાવો ઘણો રહ્યો છે. ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ બેઠક કે જે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, ત્યાંથી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત થઈ છે. તમામ 19 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સામે 19 હજાર કરતાં વધારે મતની સરસાઈથી જીત થઈ છે. નોંધનીય છે કે કુંવરજી બાવળિયા પહેલા કોંગ્રસનાં ઉમેદવાર હતાં પરંતુ તે થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતાં. તેથી જસદણની પેટા ચૂંટણી ફરી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપે આ જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું.