ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ત્યારે આજે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે સ્ટેટ ઇર્મજન્સી કંટ્રોલ રૂમમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે સમીક્ષા બેઠક કરી હતી. એક બાજુ નર્મદા નદી ઉફાન પર છે તો બીજા બાજુ કચ્છથી કોડિનાર અને વાપીથી વડનગર સુધી ચોમેર પાણી જ પાણી છે. તેવામાં રાજ્યમાં અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો 120 ટકા વરસાદ ખાબકી ગયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં 251.66 ટકા વરસાદ પડ્યો છે.
સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ 2,678,010 MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના 79.92 ટકા જેટલો છે. હાલ 138.68 મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના 205 જળાશયો પૈકી 154 જળાશયો હાઇ એલર્ટ પર, 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ ઉપર છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 103 છે. રાજ્યમાં કુલ 62 નદીઓ અને 78 મોટા તળાવ ઓવરફલો થયા છે.
જ્યમાં 13 ઓગષ્ટ-2020થી આજ દિન સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 19,523 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલ 1286 લોકો આશ્રયસ્થાનોમાં છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વરસાદને પરિણામે 30 ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. એ જ રીતે રાજ્યના એસટી બસની 48 રૂટ પરની 101 ટ્રીપો બંધ કરવામાં આવી છે.