<br />કોરોનાનાં કારણે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકા-બહુચરાજી પણ અઠવાડિયા માટે બંધ કરાયું છે. ત્યારે હવે કેમ્પ હનુમાન મંદિર પણ 12 દિવસ માટે બંધ રહેશે.
અમદાવાદમાં મંગળવાર અને શનિવારે કેમ્પ હનુમાન મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા લોકો ની ભીડ એકત્ર ના થાય એ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 31 મી જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે જેને લઈને મંદિર ટ્રસ્ટી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે કોરોનાની સેકન્ડ વેવ વખતે પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે હવે સરકાર કહે એ પહેલા જ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.