પ્રતિશ શીલુ, પોરબંદર : ગાંધી યુગના મુખ્ય ત્રણ કવિઓમાં જેઓની ગણના થાય છે તેવા ‘શિરીષ’ ઉપનામથી જાણીતા કવિ દેવજી રામજી મોઢા દ્વારા 1948માં સ્થાપિત પોરબંદરની (Porbandar)નવયુગ વિદ્યાલયને (Porbandar Navyug Vidyalaya)75 વર્ષ પૂર્ણ થયા છે. આ શાળાની (School)બિલ્ડીંગને સમારકામની જરુરીયાત ઉભી થતા આ શાળામાંથી ભણીને આજે દેશ-વિદેશમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આગળ આવ્યા છે. સમાજ પ્રેરણા લઈ શકે તે પ્રકારનું એક ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે.
પોરબંદરની નવયુગ વિદ્યાલય કે જે શાળાની સ્થાપના આજથી 75 વર્ષ પૂર્વે જાણીતા કવિ દેવજી રામજી મોઢાએ કરી હતી. જેઓને વર્ષ 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. 75 વર્ષ પૂર્વે શરુ થયેલી આ ગ્રાન્ટેડ શાળામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે. ધોરણ 9 થી 12માં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ત્રણેય માધ્યમોમાં આજે પણ 1200થી વધુ ગરીબ અને મધ્યમવર્ગના બાળકો નજીવી દરે ભણી રહ્યા છે. આ શાળાનું સ્ટ્રક્ચર જૂનું થતાં તેના સમારકામની જરુરીયાત ઉભી થતા આ શાળામાં વર્ષો પૂર્વે અભ્યાસ કરીને આજે દેશ-વિદેશમા એન્જીનિયર, ડોક્ટર, બિઝનેસમેન તેમજ સારી નોકરી કરી રહેલા લોકો આગળ આવ્યા છે. અભ્યાસ કરતા હાલના વિદ્યાર્થીઓ અને આગામી સમયમાં અહીં અભ્યાસ કરવા આવનાર વિદ્યાર્થીઓને સુંદર લાયબ્રેરીથી લઇ સારા બિલ્ડીંગની સુવિધા મળે તે માટે તેઓ મહેનત કરી રહ્યા છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની શાળાનુ રિનોવેશન કરીને સુંદર બનાવવા કમર કસી છે. આ માટે તેઓએ એસોસિએશન પણ બનાવ્યું છે. જેના દ્વારા તેઓ અહીં અભ્યાસ કરી આગળ વધેલા વિદ્યાર્થીઓના સહકારથી પોતાની શાળા માટે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. હાલ પ્રાથમિક તબક્કામાં શાળાના સમારકામ માટે 45 લાખ જેટલા ખર્ચનો જે અંદાજ છે તેની સાથે 17 લાખ જેટલુ ફંડ આ એસોસિએશન દ્વારા એકઠુ કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે શાળાના સમારકામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ સમયે ઉપસ્થિત રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અમો જે પણ જરુરી હશે તે શાળા માટે કરીશું તેના સમારકામની કામગીરી અટકવા દેશું નહીં. આ ભગીરથ કાર્યમાં હાલમાં અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાયા છે અને તેઓએ પણ આ કાર્યમાં સહકાર આપવા કટિબદ્ધતા દર્શાવતા જોવા મળ્યા હતાં. પોરબંદરની આ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે રીતે પોતાની શાળાના વિકાસ માટે સમર્પિત છે તેવી જ રીતે આ શાળાના આચાર્ય તુષાર પુરોહીત સહિતનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પણ હરહંમેશ આ શાળા અને તેમના વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ તેમજ સારી સુવિધા મળી રહે તે માટે તન-મન-ધનથી પોતાનું યોગદાન આપતો રહ્યો છે.
હાલમાં જે રીતે નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા માટે જે કામગીરી હાથ ધરી છે તે અંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે જ્યારે-જ્યારે શાળાના વિકાસ માટે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે આર્થિક સહાયની જ્યારે પણ જરુર પડી છે ત્યારે નવયુગ વિદ્યાલયના તમામ શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફે યથા યોગ્ય સહયોગ હંમેશા આપ્યો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો આજે વિદ્યાર્થી જે પણ જગ્યાએ છે ત્યાથી શાળાના વિકામ માટે તન-મન-ધનથી કામગીરી કરી રહ્યા છે. જે રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના વિદ્યાર્થીઓએ પણ દાન એકત્રિત કરવા માટે જે કટિબદ્ધતા દર્શાવી છે તેને જોતા લાગી રહ્યુ છે કે આખી નવયુગ રિનોવેટ થશે. આગામી 40-50 વર્ષ માટે ગરીબ અને મધ્યમવર્ગ પરિવારના બાળકો નજીવી ફીમાં અભ્યાસ કરી શકશે અને બીજી શાળાઓને પણ એક ઉદાહરણ પુરુ પાડશે.