

અતુલ જોશી, મોરબી : મોરબીના ટંકારા પંથકના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ટંકારાની જમીન ફળદ્રુપ હોવાથી તેઓ ફળ અને ફૂલની ખેતી તરફ વળવા માંડ્યા છે. જેમાં જબલપુર ગામના ખેડૂતે પોતાની 26 વીઘાની વાડીમાં જામફળનું વાવેતર કર્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી મબલખ ઉત્પાદન કરી અને સારો નફો મેળવે છે. જોકે આ વર્ષે કમોસમી વાતાવરણ અને કોરોના કાળના લીધે વેચાણ પણ અસર થઈ હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.


ટંકારા પંથકમાં ખેડૂતો હવે આધુનિક ખેતીની સાથે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મોરબી જીલ્લામાં સૌ પ્રથમ ટંકારાના જબલપુર ગામના ખેડૂત દ્વારા 26 વીઘામાં વન કેજી જામફળનું વાવેતર કર્યું છે. આ જામફળના વાવેતરમાં ઇઝરાયલની એટલે કે ટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યાં છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી વાવેલા આ જામફળના પાકનું મબલખ ઉત્પાદન થાય છે તેમજ સારા ભાવ પણ મળી રહે છે અને મહેનત પણ ઓછી છે


મગન ભાઈના પત્ની પુષ્પાબેન પણ જામફળની ખેતીમાં સાથ આપે છે. તેઓએ જણાવ્યું હતું કે ત્રણેય ભાઈના સંયુક્ત પરિવાર સાથે અમે કપાસ અને મગફળીના વાવેતરને છોડીને જામફળના વાવેતર તરફ વળ્યા છે. જેમાં ગયા વર્ષ કરતા આ વર્ષે જામફળના પાકમાં વાતાવરણના લીધે ઓછો પાક અને કોરોના કાળના લીધે ઓછું વેચાણ થયું છે. આ વર્ષે દર વર્ષ કરતા 70 ટકા ઓછું વેચાણ થયું છે જેના લીધે યોગ્ય નફો મળી શક્યો નથી.