નીતિન ગોહેલ, ભાવનગર: સમગ્ર વિશ્વમાં કોરોના (Coronavirus) બીમારીએ હાહાકાર મચાવી દીધો છે. આ વચ્ચે પણ ભાવનગર (Bhavnagar) જિલ્લાનું પાંચતલાવડા ગામમાં અત્યાર સુધી કોરોનાને કારણે એકપણ મોત (not single death due to coronavirus) થયું નથી. અહીંયા સરપંચ દ્વારા તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરાવતા ગ્રામજનોની સજાગતાનું સારું પરિણામ જોવા મળ્યું છે.
કોરોનાની બીજી લહેરે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે ભાવનગર જિલ્લાના સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા નાનકડા અને પ્રગતિશીલ પાંચતલાવડા ગામ લોકોએ કોરોના સામે વિજય મેળવ્યો છે. બે વર્ષના કોરોના મહામારીકાળમાં અહીંયા દસથી પંદર વ્યક્તિ કોરોનામાં સપડાયા હતા. પરંતુ દવાખાને પ્રાથમિક સારવાર બાદ ગામમાં જ પોતાના ઘરે જ બીમારીને દૂર કરી હતી. ભાવનગર જિલ્લામાં કોરોનાએ ગ્રામ્ય વિસ્તારોમાં દિનપ્રતિદિન કેસોમાં વધારો નોંધતો હતો. એક સમય ગ્રામ્યમાં 100થી વધુ કેસ આવતા હતા અને ભાવનગર જિલ્લામાં અત્યારે સુધીમાં 7396 કેસો પોઝિટિવ નોંધાયા છે અને તેની સામે ગ્રામ્યમાં 134 લોકોના મોત પણ નિપજયા છે.
સણોસરા આરોગ્ય કેન્દ્રના સારવાર માર્ગદર્શન સાથે સરપંચ અને ગ્રામપંચાયતની જાગૃતિ સાથે ગ્રામજનોની સજાગતા રહેતા ગામ ક્ષેમકુશળ રહ્યું છે. આરોગ્ય કેન્દ્રનાં અધિકારીઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન આપતા હતા અને કોરોનાને ગંભીરતાથી લઈ તેની સામે રક્ષણ મેળવવામાં સફળતા મળી હતી. આ અંગે ગામનાં સરપંચ બાલાભાઈ ડાંગર દ્વારા જણાવ્યું હતું કે, અમે ગામને તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરાવ્યું હતું.
કોઈ ગામ એવું નહીં હોય જ્યાં કોરોનાને કારણે ગામમાં મૃત્યુ ન થયું હોય, પરંતુ અમે નસીબદાર છીએ કે, અમારા ગામમાં બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. આ માટે મારા ગામ અને મારા માટે ગર્વની બાબત છે. ગામના દરેક સભ્યોએ માસ્ક ફરજીયાત પેહરવું, સોશિયલ ડિસ્ટનસ જાળવવું, ગામમાં ટોળામાં કોઈ કાર્યક્રમો ન કરવા ગ્રામજનોએ લોકડાઉનનું પાલન કર્યું હતું. જેના કારણે એક પણ દર્દી કે અન્યનું મરણ થયું નથી, સૌ ગામવાસીઓને એનું સારું પરિણામ મળ્યું છે.