

અતુલ જોશી, મોરબી : મોરબીમાં એક પ્રસંગમાં ત્રણ યુવકોએ તલવારથી બકરાનું માથું કાપી નાખવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ બનાવ અંગે વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોબાઈલમાં એક વીડિયો જોવા મળ્યો હતો જેમાં ત્રણ સરદારજી હાથમાં તલવાર લઈને ત્રણ બકરાના માથા કાપતા જોવા મળે છે. આ અંગે જીવદયામાં કામ કરતા ચેતનભાઈ પાટડીયા અને જીતુભાઈ ચાવડાનો તેમણે સંપર્ક કર્યો હતો.


વીડિયોની તપાસ કરતા આ વીડિયો મોરબીના સો ઓરડી માળિયા વનાળીયામાં રહેતા જીતસિંગના ઘરે 3 તારીખના રોજ પ્રસંગ હતો તે સમયનો છે. પ્રસંગમાં તેમના સગા યુવરાજસિંહ જીતસિંગ બાવરી (રહે સો ઓરડી મોરબી), અમરસિંગ માયાસિંગ બાવરી (રહે મહેસાણા) અને સનીસિંગ ન્યાલસિંગ બાવરી (રહે લીલીયા તા. અમરેલી)એ ત્રણ બકરાના માથા ધડથી અલગ કરી મારી નાખ્યા હતા. આ મામલે ફરિયાદ થઈ છે.


બી ડિવિઝન પોલીસે પશુ ક્રુરતા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પશુ ક્રુરતાનો વીડિયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. હાલ મોરબી બી ડિવિઝન પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ 11(1) એલ અને આઈપીસી કલમ 429 હેઠળ ફરિયાદ કરી છે. સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેરમાં ત્રણ બકરા હલાલ કરી બીગાડ કર્યાની ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.