રાજુલા: અમદાવાદના (Ahmedabad) ધંધુકામાં (Dhandhuka firing and murder) કિશન બોળિયા ઉર્ફે કિશન ભરવાડ (Kishan Bharwad murder) મર્ડર કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આખા દેશની નજર આ કેસ પર છે. ત્યારે આ ઘાતકી હત્યાના સમગ્ર રાજ્યમાં (murder in Gujarat) પણ ઘેરા પડઘા પડયા છે. અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલુ થયાં છે. જેના પગલે આજે, સોમવારે રાજુલા શહેર સજ્જડ સ્વયંભૂ બંધ રાખીને રોષ વ્યકત કરવામાં આવ્યો છે. ત્યારે આવતી કાલે, મંગળવારે મેંદરડા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સાથે રવિવારે, વાંકાનેર અને ઉનામાં હિન્દુ સંગઠનો દ્વારા આક્રોશ રેલી યોજીને વિધર્મી હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગણી કરાઇ હતી. આ સાથે પોલીસના પણ ચાંપતા બંદોબસ્તની વ્યવસ્થા ગોઢવવામાં આવી છે. જામનગર, ગોંડલ, ધોરાજી, ધ્રોલમાં પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી.
નોંધનીય છે કે, રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના તેમજ હિંદુ સંગઠનોએ 31મી તારીખે, સોમવારે એટલે આજે બંધ રાખવાનું આહ્વાન કર્યુ હતુ. તેઓએ તમામ હિન્દુ અને મુસ્લિમ વેપારીઓ પોતાના ધંધા બંધ રાખીને શહેરને સંપૂર્ણ બંધ રાખવાની અપીલ કરી હતી. જેના પગલે આજે રાજુલાની તમામ દુકાનો અને બજારો બંધ છે.
કિશન શિવાભાઈ બોળીયાની વિધર્મી દ્વારા ઘાતકી હત્યા કરનાર તમામ હત્યારાઓને ઝડપી પાડીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તે માટે તારીખ 1ને મંગળવારે, મેંદરડા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમજ આવેદનપત્ર બપોરે 11 કલાકે આપવા જવાનો કાર્યક્રમ રાખવામાં આવ્ચો છે. આવતીકાલે બપોરે 11 કલાકે, પાદર ચોક મેંદરડા ખાતે કાર્યકમ યોજાશે. જેમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષા દળ, દુર્ગા વાહિની, મનમંદીર ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત હિન્દૂ સમાજ, હિત રક્ષક સમિતિ, વેપારી મહામંડળ, ચેમ્બર્સ ઓફકોમર્સ, સર્વે વેપારી એસોસીએસન તથા સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિ હશે. આ સાથે આખુ મેંદરડા શહેર સજ્જડ બંધ પાળશે.
ગુજરાત એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ગઇકાલે દિલ્હીથી મૌલાના કમરગની ઉસ્માનીની અટકાયત કરીને તેની પુછપરછ કરવામાં આવી રહી છે. આરોપી શબ્બીરને હત્યા કરવા માટે હથિયાર પુરા પાડનાર આસીફ સમાને પણ મોરબીના ટંકારાથી ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન શબ્બીરની ઉશ્કેરણી કરનાર મૌલાના ઐયુબ જાબરાવાલાની પુછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે, મે-2021માં સાજણ ઓડેદરા નામના યુવકે પયગંબર વિરૂધ્ધ ટીપ્પણી કરી હતી. જેથી સાજણની હત્યા કરવા માટે મૌલાના ઐયુબ શબ્બીરને લઇને પોરબંદર ગયો હતો. સાજણ ઓડેદરા તે સમયે પોરબંદરમાં ન હોવાથી બંને પરત આવ્યા હતા. આમ, કિશન ભરવાડ કેસમાં હજુ અનેક મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.